એ લિસ્ટની અભિનેત્રીઓની યાદીમાં મોખરે રહેલી અનુષ્કા શર્મા ટૂંક સમયમાં બોલિવૂડ છોડી દેવાની છે એેવી વાતો આજકાલ બોલિવૂડની કૉકટેલ સર્કિટમાં વહેતી થઇ હતી.
જો કે આમ થવા પાછળ કેટલાંક કારણો છે. ગયા વરસે એક બે નહીં પૂરી ચાર ફિલ્મો (પરી, સંજુ, સુઇ ધાગા અને ઝીરો) આપનારી અનુષ્કાએ આ વરસે હજુ એક્કે ફિલ્મ સ્વીકારી નથી. ગયા વરસે રજૂ થયેલી ચારેચાર ફિલ્મો એણે લગ્ન પહેલાં સ્વીકારી હતી.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે લગ્ન કર્યાં બાદ એ જાણે ગૃહિણી બની ગઇ હતી. એના બેનર તળે એક ફિલ્મ બનવાની જાહેરાત થઇ હતી પરંતુ આ ફિલ્મ હજુય ફ્લોર પર ગઇ નથી.
જો કે દુષ્કર્મ આરોપ બદલ જેલવાસ ભોગવી ચૂકેલા તહલકા ફેમ તરુણ તેજપાલના પુસ્તક ધ સ્ટોરી ઑફ માય એસેસિન પર આધારિત એક વેબ સિરિઝ અનુષ્કા બનાવવાની છે. એણે એ સમાચારને સમર્થન પણ આપ્યું છે.
હવે અનુષ્કા ફિલ્મો પર બહુ ધ્યાન આપતી નથી. એ મેાટે ભાગે વિરાટની સાથે હોય છે અને કૌટુંબિક કામકાજમાં વધુ ધ્યાન આપી રહી છે એટલે એવી વાતો વહેતી થઇ હતી કે એ હવે બોલિવૂડને અલવિદા કહી દેવાની છે.