કાશ્મીર ખીણમાંથી ઓછામાં ઓછા ૨૫ ત્રાસવાદીઓને જમ્મુ ક્ષેત્રની જેલોમાં ખસેડી લેવામાં આવ્યા છે. પાકિસ્તાની ત્રાસવાદી નવીદ જટ ઉર્ફે અબુ હંજુલ્લાહ શ્રીનગરની એક જેલમાંથી ફરાર થયા બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.ય જમ્મુ શિફ્ટ કરવામાં આવેલા ૨૫ ત્રાસવાદીઓ પૈકી ૧૬ પાકિસ્તાની ત્રાસવાદીઓ હોવાની માહિતી મળી રહી છે. અન્ય ત્રાસવાદીઓ મળીને કાવતરા ન રચી શકે તે હેતુથી આ તમામ ત્રાસવાદીઓને ખસેડી લેવામાં આવ્યા છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલય દ્વારા જમ્મુ કાશ્મીર સરકાર પાસેથી જટના ફરાર થવાના મામલે વિસ્તૃત તપાસ હેવાલની માંગ કરી હતી. ૧૫ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા માટેના આદેશ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં કાશ્મીરના પાટનગર શ્રીનગરના શ્રીમહારાજા હરિસિંહ હોસ્પિટલની અંદર લશ્કરે તોઇબાના ત્રાસવાદીઓએ ભીષણ હુમલો કરીને એક પાકિસ્તાની ત્રાસવાદી અબુ હંજૂલા ઉર્ફે નાવિદ જટને છોડાવી લેવામાં સફળતા મેળવી હતી. આના કારણે ભારતીય સુરક્ષા તંત્રની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. આ હુમલામાં બે પોલીસ જવાન શહીદ થયા હતા. લશ્કરના પાકિસ્તાની ત્રાસવાદી નાવિદ જટને વર્ષ ૨૦૧૪માં દક્ષિણ કાશ્મીરના પુલગામમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. તે ત્રાસવાદી શ્રીનગર સેન્ટ્રલ જેલમાં હતો. પોલીસ કર્મી પાકિસ્તાની ત્રાસવાદી નાવિદને તપાસ માટે હોસ્પિટલ લઇને આવ્યા હતા. તેજ ગાળા દરમિયાન તોઇબાના આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. હોસ્પિટલમાં ત્રાસવાદી હુમલા દરમિયાન હુમલાખોરોની સાથે બચી ગયેલો ત્રાસવાદી નાવિદ ફરાર થવામાં સફળ રહ્યો હતો.
ભીષણ હુમલા દરમિયાન મોટી હોસ્પિટલની બહાર ભારે અંધાધૂંધી જોવા મળી હતી. કાકાસરાય વિસ્તારમાં હોસ્પિટલની બહાર જટ ઉર્ફે અબુ હંજલાને લઇ જતી પોલીસ ટુકડી ઉપર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં જેલમાંથી નવિદ ફરાર થયા બાદ તેની શોધખોળ ચાલી રહી છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. હોસ્પિટલ નજીક હુમલો કરીને પોતાના સાથીને છોડાવી લીધા બાદ મોટો હુમલો આર્મી કેમ્પ પર પણ કરવામાં આવ્યો હતો.
પાછલી પોસ્ટ