તપાસ સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા હવે મની લોન્ડર્સની યાદી તૈયાર કરી લીધી છે. સાથે સાથે આ મની લોન્ડર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી શેલ કંપનીઓની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આ યાદીમાં કેટલાક ટોપના રાજકારણીઓનો પણ સમાવેશ થાય છે. યાદીમાં જે લોકો ટોપ પર છે તેમાં અફરોજ મોહમ્મદ અને મદન સુરતનો સમાવેશ થાય છે. આ તમામ લોકોએ દુબઇ અને હોંગકોગમાં નાણાં મોકલી દીધા હતા. સાથે મળીને ૫૪૦૦ કરોડ રૂપિયા મોકલી દેવામાં આવ્યા હતા. યાદીમાં દિલ્હીની એનકેએસ હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ બીજા સ્થાને છે. આ કંપનીએ ૯૫ શેલ કંપનીઓનો ઉપયોગ કરીને ૩૭૦૦ કરોડ રૂપિયા લોન્ડર કર્યા હતા. ત્યારબાદ યાદીમાં દિલ્હીમાં બેંક ઓફ બરોડાનો કેસ છે. જેમાં ૧૧૫ શેલ કંપનીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ૩૬૦૦ કરોડ રૂપિયા વિદેશમાં મોકલી દેવામાં આવ્યા હતા. રાજકારણીઓ જે આ યાદીમાં છે તેમાં વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના જગન મોહન રેડ્ડીનો સમાવેશ થાય છે. તેમના પર ૩૧ કંપનીઓ મારફતે ૩૬૮ કરોડ રૂપિયા મોકલી દેવાનો આરોપ છે. અન્ય અગ્રમી રાજકારણીમાં છગન ભુજબળ છે. કંપનીઓનો ઉપયોગ કરીને જંગી નાણાં વિદેશમાં મોકલી દેવાનો તમામ પર આરોપ છે. આગામી દિવસોમાં તેમને કાયદાકીય ગુંચનો સામનો કરવાની ફરજ પડી શકે છે. રાજકારણીઓના નામ યાદીમાં આવ્યા બાદ ભુજબળ અને જગન મોહન રેડ્ડીના સમર્થકોમાં ચિંતા જોવા મળી રહી છે. છગન ભુજબળ તો પહેલાથીજ કાયદાકીય સકંજામાં આવી ચુક્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ટોપ મની લોન્ડરિંગ કંપનીઓની યાદી તૈયાર કરી લીધી છે. આ લોકોએ મોટી સંખ્યામાં શેલ કંપનીઓ બનાવી હતી અને જંગી નાણાની ઉથલપાથલ કરી હતી. નાણા અન્યત્ર મોકલવા માટે શેલ કંપનીઓનો ઉપયોગ મોટાપાયે કરવામાં આવ્યો હતો. ઇડી દ્વારા આ કેસોના સંબંધમાં ૩૫૮૮ કરોડ રૂપિયાની પ્રોપર્ટી જપ્ત કરી છે. સાથે સાથે ૧૯ લોકોની ધરપકડ પણ કરી છે. મુંબઈની રાજેશ્વર એક્સ્પોર્ટમાં શેલ કંપનીઓની સંખ્યા સૌથી વધારે ૩૧૨ નોંધાઈ છે. તેના દ્વારા ૧૫૦૦ કરોડ રૂપિયાની ઉથલપાથલ કરવામાં આવી હતી. આવી જ રીતે જયપુર, જલંધર, રાયપુર, હૈદરાબાદ, ચેન્નાઈ અને પણજીમાં પણ મોટાપાયે કંપનીઓ સક્રિય હતી. ઇડીએ આવી પ્રવૃત્તિમાં સામેલ ૧૦૦૦ શેલ કંપનીઓની ભાળ મેળવી છે જે પૈકી કેટલીક ત્રાસવાદ સાથે સંબંધ ધરાવે છે.