ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તારીખોની જાહેરાત થયા બાદ આગામી દિવસોમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મેદાનમાં ઉતરશે. બીજી બાજુ કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધી ઝંઝાવાતી પ્રચાર કરવા માટે સજ્જ છે. ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી માટે એક તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ હવે તમામ ધ્યાન ગુજરાત ઉપર કેન્દ્રિત કરવામાં આવશે જેથી સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પહોંચશે. હિમાચલ પ્રદેશમાં પણ મોદીએ સૌથી વધારે સભાઓ કરી હતી. મોદીએ હિમાચલમાં સૌથી વધુ સાત રેલીઓ કરી હતી જ્યારે અમિત શાહે છ રેલીઓ કરી હતી. રાહુલ ગાંધીએ ત્રણ રેલીઓ યોજી હતી. હિમાચલ પ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ મોદીની શ્રેણીબદ્ધ રેલીઓ યોજવામાં આવે તેવી શક્યતા છે. પાટીદાર સમુદાયની હાલમાં નારાજગી, જીએસટીને લઇને વેપારી કારોબારીઓમાં નારાજગી, ઓબીસી સમુદાયની નારાજગી સહિતના મુદ્દાઓને લઇને ભાજપની મુશ્કેલીઓ દેખાઈ રહી છે ત્યારે આગામી દિવસોમાં ભાજપ પ્રમુખ અમિત શાહ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝંઝાવાતી પ્રચાર કરવા માટે સજ્જ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ગુજરાત ગૌરવ મહાસંપર્ક અભિયાનની શરૂઆત કરી ચુક્યા છે જેના ભાગરુપે રૂપાણીએ બુધવારના દિવસે ખાડિયા-જમાલપુર અને બહેરામપુરામાં આક્રમક પ્રચાર કરીને ઘેર ઘેર જઇને લોકોનો સંપર્ક કર્યો હતો.
પાછલી પોસ્ટ