જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન અરુણોદય સાર્વજનિક વિદ્યાલય, કપરાડા ખાતે યોજાયું હતું. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન ગ્રામ સેવા સભા ટ્રસ્ટ, ધરમપુરના ટ્રસ્ટીશ્રી અશોકભાઇ ભાનુશાળીના હસ્તે કરાયું હતું.
આ પ્રસંગે ટ્રસ્ટીશ્રી અશોકભાઇ એ વિદ્યાર્થીઓને ભૌતિક, રસાયણ અને જીવવિજ્ઞાન ક્ષેત્રે રસ કેળવવા અને વૈજ્ઞાનિક અભિગમ પ્રત્યે જાગૃતિ કેળવવા જણાવ્યું હતું. તાલુકા પંચાયત કપરાડાના પ્રમુખશ્રી રમેશભાઇ ગાંવિતે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે વિજ્ઞાનના અભ્યાસ થકી પોતાની કારકિર્દી ઘડવી જોઇએ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી બી.એમ.પટેલે માનવજીવનના વિકાસમાં વિજ્ઞાનનું મહત્ત્વ સમજાવી પર્યાવરણની જાગૃતિ સહ સાંપ્રત સમય સાથે કદમ મીલાવવા અનુરોધ કર્યો હતો. શિક્ષકોને વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓની રૂચિ વધે તેવા પ્રયત્નો કરવા જણાવ્યું હતું. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યા ભાવનાબેન કાપડીયા, પૂર્વ ધારાસભ્યશ્રી માધુભાઇ રાઉત, જિલ્લા વિજ્ઞાન પ્રદર્શનના કન્વીનરશ્રી દિલીપભાઇ પટેલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો દ્વારા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને શિક્ષણમાં વિજ્ઞાનના મહત્ત્વ સંદર્ભે વિસ્તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે વલસાડ જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખશ્રી પ્રવિણભાઇ દેસાઇ, જિલ્લાની માધ્યમિક શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકો, જિલ્લા-તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, બી.આર.સી. કન્વીનરો, ગામ આગેવાનો, મહાનુભાવો, વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.