રાણીપ વિસ્તારમાં જૂના સ્વામિનારાયણ વાસમાં રહેતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ડાભીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પરંતુ ગુરુવારની સાંજે ભાવનાબેન અને તેમના પતિ ભદ્રેશભાઈ ઘરમાં હાજર હતા. આ દરમિયાન ભદ્રેશભાઈ મકાનના અંદરના બેડરૂમમાં સૂતા હતા, જ્યારે ભાવનાબેને ડ્રોઈંગ રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. લગભગ સાંજે ૭ઃ૦૦ વાગે ભદ્રેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા ત્યારે ભાવનાબેનને આત્મહત્યા કરેલી હાલતમાં જોયા અને તેમણે રાણીપ પોલીસને જાણ કરી.
ભાવનાબેન ડાભી ૨૦૧૬માં એલઆરડી તરીકે ભરતી થયા હતા. જ્યારે હાલમાં શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા. દોઢ વર્ષ પહેલા જ ભાવનાબેનના લગ્ન વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભદ્રેશભાઈ ડાભી સાથે થયા હતા. દોઢ વર્ષના લગ્ન જીવન દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે નાની મોટી બાબતે ઘરકંકાસ ચાલતો હતો. જેનાથી કંટાળીને ભાવનાબેને આત્મહત્યા કરી હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી છે, પરંતુ પોલીસને આપઘાતને લઈને કોઈ અંતિમ ચિઠ્ઠી મળી આવી નથી.
મહત્વનું છે કે, પાંચ દિવસ પહેલા જ આ પતિ-પત્ની પાંચ દિવસથી રજા પર હતા અને ત્યાર બાદ ગુરુવારે જ નોકરી પર હાજર થયા હતા. નોકરીથી પરત આવીને ભાવનાબેને આપઘાત કર્યો હતો. જેથી રાણીપ પોલીસે આ બંને પતિ-પત્ની વચ્ચે ક્યાં કારણસર કંકાસ ચાલી રહ્યો હતો તે મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે. મહિલા પોલીસ કોન્સ્ટેબલ આપઘાત કેસમાં રાણીપ પોલીસે અકસ્માત મોત નોંધીને તેમના પતિ ભદ્રેશ ડાભીનું નિવેદન લઈને આત્મહત્યાનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે.
પાછલી પોસ્ટ