અમદાવાદ સિવિલ કેમ્પસમાં સ્થિત સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનની કામગીરીને પરિણામે ગુજરાતમાં અંગદાનનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે, ઉપરાંત અંગદાન બાબતે લોકોમાં વ્યાપક જાગૃતિ પણ આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગત ૧૬ મહિનામાં અંદાજે ૭૪ વ્યક્તિના ૨૩૪ અંગોનું દાન મળ્યું છે જેના પગલે ૨૧૨ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.અંગદાનના માધ્યથી માણસ મૃત્યુ પછી પણ અન્યના શરીરમાં જીવતી રહી શકે છે. અંગદાનના માધ્યથી આજે ઘણા જીવો બચાવી શકાય છે તેમજ જે લોકોના શારીરિક અંગો કામ નથી કરતા મૃત્યુ પામેલા લોકોના અંગોનો ઉપયોગ કરીને બીજાને જીવનદાન આપી શકાય છે. આવા અંગદાતાના પરીવારનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ્સ્થાને સમ્માન કર્યુ હતુ. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે અંગદાન ટીમ વર્કથી થતું કામ છે. અંગદાતા વ્યક્તિના પરિવારજનો, તબીબો, વહીવટી તંત્ર સૌ સાથે મળીને, એક વિચાર એક લક્ષ્યથી અંગદાનનું કામ પાર પાડતા હોય છે. જેને પરિણામે જરૂરતમંદ વ્યક્તિને નવું જીવન મળતું હોય છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા છે, પહેલા કરતા વધુ જાગૃતિ આવી છે. સમારોહમાં મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, મૃતક સ્વજનના અંગોનું દાન કરનારા પરિવારજનોની લાગણી- ભાવનાનું વર્ણન થઈ શકે નહીં, તે શબ્દોથી પર હોય છે. આવી દુઃખની ઘડીમાં અંગદાનનો ઉત્કૃષ્ટ નિર્ણય લેવો, બીજાના ભલાનો વિચાર કરવો તે પ્રશંસાપાત્ર છે. મુખ્યમંત્રીએ અંગદાતાના પરિવારજનોને મદદરૂપ થવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી સાથે-સાથે અંગદાન બાબતે બીજાને પ્રેરણા આપતા રહેવાની હિમાયત પણ કરી હતી. મુખ્યમંત્રીએ અંગદાન ક્ષેત્રે કાર્યરત સેવાભાવી સંસ્થાના કર્મચારીઓ અને સ્ટેટ ઓર્ગન એન્ડ ટિસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશનના સભ્યોનું પણ સન્માન કર્યું હતું. અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના વડા દિલીપ દેશમુખે કહ્યું કે, એક પરિવારનો દિપક ઓલવાય ત્યારે અંગદાનનો નિર્ણય બીજા અનેક કુળદિપકને પ્રજ્વલીત કરતો હોય છે. દેશમુખે અંગદાતાના પરિવારજનોનું સ્વાગત કરી તેમને બિરદાવવા બદલ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ રાકેશ જોષીએ અંગદાતા પરિવારજનોનો આભાર માન્યો હતો.