માત્ર ૫૩ એમ્બ્યુલન્સથી શરૂ થયેલી ૧૦૮ની આ આરોગ્યલક્ષી સેવામાં આજે રાજ્યભરમાં કુલ ૮૦૨ એમ્બ્યુલન્સ કાર્યરત છે. દરિયામાં બિમારી અથવા અકસ્માત સમયે મેડિકલની ઇમરજન્સીમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે નવતર અભિગમ અપનાવીને ૧૦૮ બોટ એમ્બ્યુલન્સ સેવા હેઠળ રાજ્યમાં ૨ બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરી છે. ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ વર્ષ ૨૦૦૭થી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો.. આગામી ૨૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ ૧૦૮ સેવા ગુજરાતમાં ૧૫ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરશે. જી.વી.કે. ઇમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટયુટ અને ગુજરાત સરકારની લોકભાગીદારીથી શરુ થયેલી આ સેવા આજે વિશ્વાસ અને ચોક્સાઇનો પર્યાય બની છે, જે તમામ પ્રકારની ઇમરજન્સીને પ્રતિસાદ આપવા માટે કટીબધ્ધ છે. સાથે-સાથે તેના કાર્યથી લોકમાનસમાં સંપાદિત થયેલો વિશ્વાસ પણ અભૂતપૂર્વ છે. ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં અદ્યતન મેડીકલ સાધનો, દવાઓ, વેન્ટીલેટર મશીન અને તેની સાથે ટેકનોલોજીનો સમન્વય કર્યો છે. તેનો સીધો લાભ કટોકટીની પળોમાં શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારનાં લોકોને મળે છે. ૧૦૮ સેવાનાં અસરકારક અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા હાઈટેક ટેકનોલોજીથી સુસજ્જ એક વિશાળ “ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર” પણ કાર્યરત કરવામાં આવ્યું છે, જેના દ્વારા સતત મોનીટરીંગ કરી નાગરીકોને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. ટેકનોલોજીનાં માધ્યમથી ૧૦૮ ઇમરજન્સી સેવાનો લાભ નાગરીકોને ઝડપથી આંગળીના ટેરવે જ મળે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના મક્કમ નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા “૧૦૮ ગુજરાત” નામની અદ્યતન મોબાઈલ એપ્લીકેશન પણ કાર્યરત કરવામાં આવી છે. ૧૦૮ ઈમરજન્સી સેવાનું ડિજિટલાઈઝેશન થતા ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતે દેશને નવો રાહ ચીંધ્યો છે.રાજ્યમાં ૧૫ વર્ષ પુરા કરવા જઇ રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧.૩૫ કરોડ લોકોને આરોગ્યની સારવાર અપાવાનું અને જીવ બચાવાનું કામ કર્યુ છે. તેમજ ૪૬ લાખ પ્રસૂતિ, ૧૭ લાખ ઇમરજન્સી આરોગ્ય સેવા આપી છે. ૧૨.૪૬ લાખ લોકોને અત્યંત કટોકટીની પળોમાં સાવરા આપવાનું કામ કર્યુ છે. ૧૦૮ ઇ.એણ.ટી દ્વારા ૭૬,૫૬૫ મહિલાઓની એમ્બ્યુલન્સ વાનમાં જ તેમજ ૪૨,૫૪૫ મહિલાઓની સ્થળ પર જ પ્રસૂતિ કરાવી છે. રોડ અકસ્માતમાં ૧૬ લાખ ૪૬ હાજર લોકોને સારવાર આપવામાં આવી છે.