શિક્ષણ અને મહેસુલ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પાદરા તાલુકાના શકિતધામ રણુ ખાતે ગુરૂવારે સર્વ સાક્ષરતા મિશન હેઠળ નવેસરથી બનાવેલા કન્યા શાળાના મકાનનું લોકાર્પણ કર્યું હતું અને સ્માર્ટ કલાસ સહિતની અદ્યતન સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે માતૃશકિત તુળજા ભવાનીના દર્શન અને ભાવવંદના કરી હતી. તેમણે શાળાના મકાનના નવનિર્માણમાં યોગદાન આપનારા દાતાઓનું સન્માન કર્યુ હતું. વાલીઓને ખાનગી શાળાઓના મોહમાં ન ફસાવાની સલાહ આપતા શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજય સરકાર સરસ્વતી મંદિર જેવી સરકારી પ્રાથમિક શાળાઓ માટે મેરીટમાં ઉંચો ક્રમાંક ધરાવતા શ્રેષ્ઠ શિક્ષકો પસંદ કરે છે. શાળાઓમાં ખાનગી શાળાઓની સ્પર્ધા કરે એવી સુવિધાઓ સરકાર આપે છે એટલે સરકારી પ્રાથમિક શાળાઓમાં વાલીઓ સંતાનોને પ્રવેશ અપાવે અને શિક્ષણ ખર્ચમાં રાહત મેળવે.
શોષણ- છેતરપીંડી અટકાવવા સો ટકા સામાજિક સાક્ષરતા જરૂરી છે એવી લાગણી વ્યકત કરતાં શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે પ્રાથમિક શાળામાં શિક્ષણ આપવું એ સહુથી કપરી જવાબદારી છે. તેમણે પ્રાથમિક શાળાના શિક્ષકોને બાળકોની સબળાઇ–નબળાઇ પારખીને શિક્ષણમાં સુધારા-વધારા કરવાની સતત કાળજી લેવાની ભલામણ કરી હતી.
પાદરાના ધારાસભ્યશ્રી દિનેશભાઇ પટેલ(મામા), નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના અધ્યક્ષા મીનાબા પરમાર, સદસ્યો, રણુના સરપંચશ્રી, તુળજા ભવાની મંદિરના મહંતશ્રી, જિલ્લા વિકાસ અધિકારી ર્ડા. સૌરભ પારઘી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા.એમ.એન.પટેલ, શાળા પરિવાર, વાલીઓ, વિદ્યાર્થીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો આ પ્રસંગે ઉપસ્થિત રહયાં હતાં.