આતંકવાદી હુમલામાં ૪૫ યાત્રિકોના જીવ બચાવનાર વલસાડના બસ ચાલકની ચોમેરે સહરાના થઈ રહી છે.
આજે વલસાડ એસટી સ્ટેન્ડ પાસે ઓટો રીક્ષા એસોસિયેશને બસ ચાલકનું સન્માન કર્યું હતું. જમ્મુ – કાશ્મીરમાં આતંકવાદીઓએ આડેધડ કરેલા ગોળીબાર બાદ લકઝરી બસના ચાલક સલીમ શેખે હિંમતભેર બસ હંકારી જતાં બસમાં સવાર અન્ય ૪૫ વ્યકિતઓના જીવ બચી ગયા હતા.
યાત્રિકોએ પણ ચાલકની નિડરતાને કારણે અન્ય યાત્રિકોના જીવ બચી ગયા હોવાનું જણાવ્યું હતું. જેને પગલે ચોમેરથી સલીમ શેખની સરાહના કરવામાં આવી રહી છે. વલસાડ એસટી ડેપો નજીક આજે સવારે ઓટો રીક્ષા એસોસિયેશનના હોદ્દેદારો સહિત સભ્યોએ સલીમ શેખનું સન્માન કર્યું હતું.
આ એસોસીયેશને એક વર્ષ સુધી સલીમ શેખ અને તેના પરિવારને રીક્ષામાં મુસાફરી કરશે તો ભાડુ લેવામાં નહીં આવે એવી જાહેરાત કરી હતી. રીક્ષા એસોસીયેશને સલીમ શેખની કામગીરીની પ્રસંશા કરી હતી.