સાઉદી અરેબિયાના નજરાન શહેરમાં બારી વગરનાં એક ઘરમાં લાગેલી ભયાનક આગમાં ઓછામાં ઓછા ૧૦ ભારતીય માર્યા ગયાં છે અને બીજાં છ જણ ઘાયલ થયાં છે.વિદેશપ્રધાન સુષમા સ્વરાજે નવી દિલ્હીમાં જણાવ્યું કે જેદ્દાહ શહેરમાં ભારતીય દૂતાવાસનાં અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.સ્વરાજે એક ટ્વીટમાં જણાવ્યું છે કે નજરાનમાં થયેલી આગની દુર્ઘટના વિશે મને જાણ કરાઈ છે. એમાં ૧૦ ભારતીય નાગરિકોએ જાન ગુમાવ્યાં છે અને બીજાં છ જણ ઘાયલ થયાં છે.આગની ઘટનામાં માર્યા ગયેલાઓમાંના એક જણનાં મૃતદેહને ભારત પાછો લાવવામાં વિદ્યા એસ. નામની એક મહિલાએ સુષમા સ્વરાજની મદદ માગ્યા બાદ આગની ઘટનાની જાણ થઈ હતી.
નજરાન શહેર જેદ્દાહથી લગભગ ૯૦૦ કિ.મી. દૂર આવેલું છે.સ્વરાજે વધુમાં જણાવ્યું છે કે જેદ્દાહસ્થિત ભારતીય દૂતાવાસના અધિકારીઓ નજરાનના ગવર્નર સાથે સતત સંપર્કમાં છે અને મને ત્યાંની સ્થિતિ વિશે સતત જાણકારી આપતા રહે છે. ૧૦ ભારતીયો ઉપરાંત એક અન્ય વ્યક્તિનું પણ આગની દુર્ઘટનામાં મરણ નિપજ્યું છે, પણ એની રાષ્ટ્રીયતા તત્કાળ જાણવા મળી નહોતી.અગાઉ આરબ ન્યૂઝે સાઉદી સિવિલ ડીફેન્સને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે દક્ષિણના નજરાન શહેરના એક ઘરમાં આગની એક ઘટનામાં ૧૧ કામદારો માર્યા ગયા છે. તેઓ બધાં ભારત અને બાંગ્લાદેશમાંથી આવ્યા હતા.
તે ઘર જૂની ઢબનું હતું અને એમાં બારીઓ નહોતી. ૧૧ જણ ધૂમાડાને કારણે ગૂંગળાઈને મરી ગયા હતા. છ જણ ઘાયલ થયા છે. એ કામદારો એક કન્સ્ટ્રક્શન કંપનીના હતા. આગ જૂના એરકન્ડિશનિંગ યૂનિટમાં શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હોવાનું મનાય છે.