આજ રોજ કરોડો ભારતીયોના આદર્શ-પ્રેરણા સ્તોત્ર, ભારતીય રાજનીતિના શિખર પુરુષ, ભારત રત્ન, ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત અટલ બિહારી બાજપાઈજીના જન્મદિવસ નિમિત્તે ડભોઇ ખાતે ૧૭ ગામ પટેલ વાડીમાં દર્ભાવતી – ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાની ઉપસ્થિતિમાં ડભોઇ તાલુકાનો કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજીના જન્મદિવસ તા.રપમી ડિસેમ્બરના સુશાસન દિવસ નિમિત્તે ગુજરાતમાં ર૪૮ તાલુકા મથકોએ કિસાન કલ્યાણ કાર્યક્રમો યોજીને ધરતી પુત્રોને કૃષિ કલ્યાણલક્ષી વિવિધ લાભ-સહાય આપવામાં આવી. પ્રધાનમંત્રી મોદીએ દેશભરના કિસાન સાથે સંવાદ કરી કૃષિ-કિસાન કલ્યાણ સબંધી માહિતી આપવામાં આવી હતી.આ કૃષિ કલ્યાણ કાર્યક્રમોમાં ર૪૮ સ્થળોએ ઉપસ્થિત રહેનારા લાભાર્થીઓને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એકસાથે માર્ગદર્શન આપ્યું હતું. મહાત્મા મંદિર ગાંધીનગર પરિસરમાં રાજ્યકક્ષાનો સમારંભ યોજાયો હતો જ્યારે સ્થાનિક કક્ષાએ ડભોઇ ખાતે ૧૭ ગામ પટેલ વાડીમાં ડભોઇ – દર્ભાવતિના ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઇના નાયબ કલેકટર, નાયબ મામલતદાર, શહેર અને જિલ્લાના ભાજપ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં ધરતીપુત્રોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ધરતીપુત્રોનું સન્માન કરતી આવી છે અને આવનારા સમયમાં પણ સન્માન કરતી રહેશે તેમજ ધરતીપુત્રોનો સર્વાંગી વિકાસ થાય તેવા પગલાં સરકાર શ્રી દ્વારા લેવામાં આવશે. આ કાર્યક્રમમાં સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત પ્રાકૃતિક કૃષિ કીટ સહાય યોજના, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના, ગુજરાત સરકારનો છાંયડો, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન પરિવહન યોજના આ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી યોજનાનો શુભારંભ અને ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કીટ અને વિવિધ સરકારી યોજનાઓની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
(તસવીર / વિડિયો / અહેવાલ :- વિકાસ ચતુર્વદી, ડભોઈ)