સનસનાટીપૂર્ણ જ્યંતિ ભાનુશાળી હત્યા કેસના સંદર્ભમાં વોન્ટેડ રહેલા બે શાર્પશૂટરોની આજે ધરપકડ કરવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાની એક હોટલમાંથ તેમની ધરપકડ કરવામાં આવી હતી. બે શાર્પશાૂટરોની ધરપકડ કરવામાં આવ્યા બાદ કેટલીક નવી ચોંકાવનારી વિગતો ખુલે તેવી શક્યતા દેખાઈ રહી છે. આ ધરપકડ મૂળભૂતરીતે શનિવારના દિવસે જ કરવામમાં આવી હતી. ડાંગ જિલ્લામાં કોઇ જગ્યાએ છુપાયેલા હોવાની બાતમી મળ્યા બાદ આતંકવાદ વિરોધી ટીમના સભ્યોએ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીઓને અમદાવાદ લાવવામાં આવી ચુક્યા છે.
તપાસ માટે સીટને સોંપવામાં આવી રહ્યા છે. આરોપીઓના નામ તપાસના ભાગરુપે હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
વરિષ્ઠ પોલીસ અધિકારીઓના કહેવા મુજબ ભાનુશાળીની હત્યાના મામલામાં સંડોવાયેલા બે શાર્પશૂટરોને પકડી પાડવામાં આવ્યા છે. વધુ તપાસ ચાલી રહી છે. અત્રે નોંધનીય છે કે, મંગળવારના દિવસે ભચાઉ કોર્ટે ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સામે ધરપકડ વોરંટ જારી કર્યું હતું. છબીલ પટેલ ભાનુશાળી હત્યા કેસની પાછળ મુખ્ય આરોપી હોવાની આશંકા છે. કોર્ટે ક્રિમિનલ પ્રોસીડર કોડની કલમ ૭૦ હેઠળ આ વોરંટ જારી કર્યું છે. રેલવે પોલીસની રજૂઆત એવી છે કે, છબીલ પટેલ તપાસમાં સહકાર કરી રહ્યા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ૧૧મી ફેબ્રુઆરીના દિવસે પટેલની એક ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ વિદેશમાં છે અને આ મામલામાં નિર્દોષ છે. આ ઉપરાંત તેઓ આ કેસના સંદર્ભમાં પોલીસ અધિકારીઓનો સહકાર ભારત આવ્યા બાદ કરશે. અત્રે નોંધનીય છે કે ૭મી જાન્યુઆરીના દિવસે અબડાસાના ભાજપના પૂર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીની સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં બે શાર્પશૂટરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ભાનુશાળીની હત્યા કર્યા બાદ આરોપીઓ ચેઇન ખેંચીને ટ્રેનમાંથી ઉતરી ગયા હતા અને ફરાર થઇ ગયા હતા.
પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, છબીલ પટેલ અને મલિક ગોસ્વામી આ કેસ પાછળ મુખ્ય કાવતરાખોર છે.