રાજ્યના શિક્ષણમંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઇ પરમાર તેમજ મહાનુભાવોના હસ્તે વાલ્મીકિ સમાજનું નામ દીપાવનારા ડો.પ્રિયંકા સોલંકી(પીએચડી) અને ડો.પ્રિયંકા ઝાલા(એમબીબીએસ) સહિત તેજસ્વી તારલાઓનુ બહુમાન કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે પ્રથમવાર વડોદરાના મહેમાન બનેલા રાષ્ટ્રીય સફાઇ કામદાર આયોગના અધ્યક્ષશ્રી મનહરભાઇ ઝાલાનુ વાલ્મીકિ સમાજ ધ્વારા ભાવસભર અભિવાદન-સન્માન કરવામાં આવ્યુ હતુ. વાલ્મીકિ વિદ્યાર્થી ઉત્કર્ષ ફોરમ ધ્વારા પૂર્વ મેયર સુનિલ સોલંકીના પ્રોત્સાહનથી સતત ત્રીજા વર્ષે આ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણમંત્રી ધ્વારા કેન્સર સંશોધક ડો.પ્રિયંકા સોલંકીને સંશોધનમાં રાજ્ય સરકારના પૂર્ણ સહયોગની ખાત્રી આપવામાં આવી હતી. સંતશ્રી જ્ઞાન સાહેબ અને વિવેક સાહેબે માનવ મૂલ્યો અને ચારિત્ર્ય ઘડનારા શિક્ષણની હિમાયત કરવાની સાથે તેજસ્વી તારલાઓને સુભાશિષ આપ્યા હતા.
એક સમયે વાલ્મીકિ સમાજમાં શાળા પ્રવેશનો દર ૭૫% હતો, આજે રાજ્ય સરકારના સઘન પ્રયાસો અને જાગૃતિને પરિણામે સમાજના શાળા પ્રવેશને લાયક ૧૦૦ માંથી ૯૯ બાળકો શાળામાં ભણવા માટે પ્રવેશ મેળવે છે તેનો આનંદ વ્યક્ત કરતાં શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતું કે સમાજના તમામ વર્ગોના વિકાસ માટે શિક્ષણ અનિવાર્ય છે. સામાજિક સમરસતાને વરેલી રાજ્ય સરકારે તમામ વર્ગો માટે શિક્ષણ પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે. વાલ્મીકિ સમાજ સફાઇ ધ્વારા સમાજની ઘણી મોટી સેવા કરે છે. આ સમાજના સર્વાગી વિકાસ માટે સરકાર પ્રતિબધ્ધ છે. તેમણે શ્રી સુનિલ સોલંકી, જયેશભાઇ સોલંકી અને ટીમને સમાજોત્કર્ષના આયોજનો માટે અભિનંદન આપ્યા હતા. સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી આત્મારામભાઇ પરમારે અનુસૂચિત જાતિઓ અને પછાત વર્ગોના કલ્યાણ માટેના રાજ્ય સરકારના શ્રેણીબધ્ધ આયોજનોની વિગતવાર જાણકારી આપી હતી. શ્રી મનહરભાઇ ઝાલાએ અનુસૂચિત જાતિઓના ઉત્કર્ષ માટે ભારત સરકાર અને રાજ્ય સરકારના અસરકારક પ્રયાસો અને આયોજનોને બિરદાવ્યા હતા.
સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, મેયરશ્રી ભરતભાઇ ડાંગર, રાજ્ય સફાઇ કામદાર નિગમના ઉપાધ્યક્ષ સુરેશભાઇ મકવાણા, અન્ન આયોગ અધ્યક્ષ ભૂપેન્દ્રભાઇ લાખાવાળા, વુડા અધ્યક્ષ નારણભાઇ પટેલ, શિક્ષણ સમિતિ અધ્યક્ષા મીનાબા સહિત અગ્રણીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.