ગુજરાતની રૂપાણી કેબિનેટમાં ફરી એક વખત ધરખમ ફેરફારો થવા જઇ રહ્યા છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ સપ્ટેમ્બર મહિનાના અંતે રૂપાણી કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલની કેબિનેટમાં સામેલ ૭ જેટલા પ્રધાનો પોતાની ખુરશી ગુમાવે તેવી પૂરી શક્યતા જોવાઇ રહી છે. આ મહિનામાં સંગઠનમાં પણ મોટા ફેરફારો થવાની પૂરી સંભાવના છે. હાલમાં ભાજપમાં નેતાઓ વચ્ચે આંતરિક ખેંચતાણ ચાલી રહી છે. સંગઠન અને સરકાર બંનેમાં પદ માટે જોરદાર લાંબિગની શરૂઆત થઈ છે. ભાજપમાં આ બંને જગ્યાઓએ ફેરફાર ઘણા નેતાઓને લાભ તો ઘણાને નુક્સાન કરાવશે. પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી થયા બાદ ભાજપમાં મોટા ફેરફારો થાય તેવી પૂરી સંભાવના હતી. હવે તે સાચી ઠરી રહી છે.
ત્યારે તેમના સ્થાને ૭ નવા ચહેરાનો પ્રધાનમંડળમાં સમાવેશ થઇ શકે છે. કેબિનેટ કક્ષાના ૪ અને રાજ્યકક્ષાના ૩ એમ કુલ ૭ પ્રધાનો પર તેમનું પદ ગુમાવવાની તલવાર લટકી રહી છે. જેમના કામ બાબતે ભાજપમાં અસંતોષનો માહોલ છે. એવા પ્રધાનોના પદ કપાઈ જશે. ભાજપમાં પાટીલે સ્પષ્ટ કહ્યું છે કે હવે ભાઈ-ભત્રીજાવાદ નહીં ચાલે. જે કામ કરશે તેમને પદ મળશે. એક પદ એક નેતાનું સૂત્ર પણ ભાજપમાં અજમાવાય તો નવાઈ નહીં.
બીજી તરફ નવા પ્રધાનમંડળમાં સુરત, મહેસાણા, કચ્છ અને બનાસકાંઠા વિસ્તારના મજબૂત નેતાઓને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. સાંપ્રત રાજ્યકક્ષાના પ્રધાનની કેબિનેટ કક્ષાના શિક્ષણપ્રધાન તરીકે વરણી થાય તેવી શક્યતા છે. તો ભાવનગરના ધારાસભ્યની કેબિનેટ કૃષિપ્રધાન તરીકે વરણી થઇ શકે છે. તો કચ્છના મહિલા ધારાસભ્યને રાજ્યકક્ષાના પ્રધાનમંડળમાં સ્થાન મળે તેવી સંભાવના છે. ઘણા નેતાઓને એડવાન્સમં ખબર છે કે હવે તેમની વિદાય નિશ્વિત છે. ભાજપ આગામી ચૂંટણી સમયે કોઈ રિસ્ક લેવા માગતું નથી. જેના પગલે સરકાર અને સંગઠનમાં મોટા ફેરફારો થશે.
પાછલી પોસ્ટ