સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા રીઝવવા વિવિધ વસ્તુઓ અર્પણ કરવામાં આવતી હોય છે. ભક્તો પોતાની ઈચ્છા પ્રમાણે દાન આપતા હોય છે તેમજ સંકલ્પ ધારણ કરી પૂર્ણ થયે સંકલ્પિત વસ્તુ અર્પણ કરતાં હોય છે. તાજેતરમાં હીરો કંપનીએ ગુજરાત પ્લાન્ટની શરૂઆત થયા બાદ પ્રથમ બાઈક શિવાર્પણ કરેલ, ત્યારબાદ સોમનાથ મહાદેવને ખેડૂત કાનજીભાઈએ આવેલ મબલખ ખારેક અર્પણ કરી ધન્યતા અનુભવી હતી.
આજોઠાના ખેડૂત કાનજીભાઈ પંપાણીયાએ કાંઈક જુદુ કરવાની દિશા તરફ પ્રયાસ કરેલ જેમાં પોતાની ચાર વીઘા જમીનમાં ખારેકનું વાવેતર કરેલ. કાનજીભાઈએ સોમનાથ મહાદેવ પર શ્રધ્ધા રાખી પરિશ્રમ કરેલ જેની ફલશ્રુતિમાં મબલખ ખારેકનો પાક આવેલ જેથી કાનજીભાઈના પરિવારે પ્રથમ ખારેક સોમનાથ મહાદેવને અર્પણ કરવા સંકલ્પ કરેલ જે બાબતે ટ્રસ્ટનાં જનરલ મેનેજરનો સંપર્ક કરેલ હતો તેમજ સોમનાથ મહાદેવને મધ્યાન્હ આરતી બાદ ખારેક અર્પણ કરવામાં આવી હતી. સોમનાથ મહાદેવને પૂજારી દ્વારા ખારેકનો શ્રૃંગાર કરવામાં આવેલ. સોમનાથ ટ્રસ્ટ દ્વારા ખેડૂત કાનજીભાઈને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં.
રિપોર્ટર :- મિનાક્ષી ભાસ્કર વૈધ (પ્રભાસપાટણ)