અમદાવાદ શહેરમાં હાલની પરિસ્થિતિમાં કુલ મળીને ૧૦ જેટલા મુખ્યબ્રિજ આવેલા છે આ ઉપરાંત ફલાયઓવરબ્રિજ પણ આવેલા છે જેની નીચે આવેલી ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર દબાણોનો ખડકલો થઈ જવા પામ્યો હોઈ આ ખુલ્લી જગ્યાને બગીચા તરીકે વિકસાવવા નિર્ણય કરવામાં આવ્યો છે.
આ અંગે મળતી માહીતી અનુસાર અમદાવાદ શહેરના છેલ્લા એક દાયકામાં થયેલા વિકાસ અને વિસ્તારની સાથે જમાલપુર ઉપરાંત આઈઆઈએમ ફલાય ઓવર,એલિસબ્રિજ ફલાયઓવર બ્રિજ સહીત અન્ય વિસ્તારોમાં હાલ મ્યુનિસિપલ તંત્ર દ્વારા ફલાય ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.પરંતુ આ તમામ મુખ્યબ્રિજ અને ફલાયઓવરબ્રિજ નીચેના ભાગમાં આવેલી ખુલ્લી જગ્યામાં અનેક પ્રકારના દબાણો ખડકાઈ જવા પામ્યા છે.આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ મામલે ગંભીરતાપૂર્વક ચર્ચા હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે,શહેરમાં આવેલા તમામ મુખ્ય દસ જેટલા બ્રિજ ઉપરાંત વિવિધ વિસ્તારોમાં આવેલા ફલાયઓવરબ્રિજ નીચેની જગ્યામાં કયાં-કેટલા પરકારના દબાણો છે તેનો સર્વે કરી આ તમામ દબાણો દુર કરવા.આ સાથે જ આ તમામ જગ્યાઓ ઉપર ફરીથી આ પ્રકારના દબાણો ન થાય એ માટે આ જગ્યાઓમાં બગીચા બનાવવા તંત્રને કહેવામાં આવ્યુ છે.આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી પાણીની ટાંકીઓની આસપાસ જોવા મળી રહેલી ગંદકી અને કચરાના ઢગલા ચોમાસાની શરૂઆત પહેલા જ દુર કરવા મ્યુનિસિપલ કમિશનરને કહેવામાં આવ્યું છે જેથી તંત્રના અધિકારીઓ પાસે આ કામગીરી સમયસર પુરી કરી શકાય.