સુરેશ રૈનાનું માનવું છે કે કાગળ પર ભલે મહેન્દ્ર સિંહ ધોની કેપ્ટન ન હોય પરંતુ જે વ્યક્તિ એક વખત કેપ્ટન બને છે તે હંમેશા કેપ્ટન જ રહે છે. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાને ત્રણ વર્ષ બાદ ૨૦૧૭માં તેણે વન ડે અને ટી૨૦ આંતરરાષ્ટ્રીય ટીમની કેપ્ટનશિપમાંથી રાજીનામુ આપ્યું હતું. ત્યારથી આજ સુધી ભારતીય ટીમના રાજકારણમા ધોનીની આગવી ભૂમિકા રહી છે અને આ વાતને કેપ્ટન વિરાટ કોહલી પણ સ્વીકારી ચૂક્યો છે.
પોતાના પરિવાર સાથે વેકેશન માણવા માટે નેધરલેન્ડ્સ ગયેલા સુરેશ રૈનાએ જણાવ્યું કે, ‘કાગળ પર ભલે ધોની કેપ્ટન ન રહ્યો હોય પરંતુ મારા મત મુજબ મેદાનમાં તો તે વિરાટનો પણ કેપ્ટન હોય છે. તેની ભૂમિકા ટીમમાં આજે પણ એ જ છે જે પહેલા હતી. તે વિકેટ પાછળથી બોલર્સ સાથે વાતચીત કરતો હોય છે, ફિલ્ડર્સની ગોઠવણીની જવાબદારી પણ તે ખૂબ કુશળતાપૂર્વક નિભાવે છે.’ રૈનાએ કહ્યું કે ‘ધોની કેપ્ટનોનો પણ કેપ્ટન છે. જ્યારે તે વિકેટકિપીંગ કરતો હોય છે ત્યારે વિરાટ નિશ્ચિંત રહી શકે છે અને આ વાત તેણે પોતે પણ ઘણી વખત સ્વીકારી છે.’