વડોદરા સહિત રાજયમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા છે ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વડોદરાના વાઘોડીયા તાલુકાના કાશીપુરા ગામની મુલાકાત લઈ પાણીની ભયંકર સમસ્યા હોવાનો દાવો કરી તંત્રની પોલ ખુલ્લી પાડી છે.
શંકરસિંહની મુલાકાતથી વડોદરાનું રાજકારણ ગરમાયું છે. વાઘોડીયા તાલુકાના કાશીપુરા ગામમાં ૩૦ વર્ષથી લોકોને પીવાનું પાણી નથી મળી રહ્યું. લોકો પીવાના પાણી માટે ગામ નજીક બે કિલોમીટર દુર ચાલી કુવામાંથી પાણી ભરે છે. ગામના લોકોને પડતી પીવાના પાણીની મુશ્કેલી વિશે જાણી શંકરસિંહ વાઘેલા કાશીપુરા ગામે સમર્થકો સાથે લોકોને મળવા દોડી આવ્યા. ગામની મહિલાઓએ શંકરસિંહ વાઘેલાને રજુઆત કરતા શંકરસિંહે રાજયપાલને મળી રજુઆત કરીશ તેવું આશ્વાસન આપ્યું.
શંકરસિંહે ગુજરાતમાં ૬૦ ટકા ગામડાઓમાં લોકોને પીવાનું પાણી નથી મળતુ તેમ કહી સરકાર પર પ્રહાર કર્યા. આ સાથે જ એનસીપી વોટર રેઈડ કરી સરકારના દાવાની પોલ ખોલી રહી હોવાનું કહ્યું. વાઘોડીયામાં ભાજપના મધુ શ્રીવાસ્તવ છેલ્લા ૨૬ વર્ષથી ધારાસભ્ય છે તેમ છતાં ગ્રામજનોને પીવાની પાણીની સુવિધા નથી આપી શકયા. ગામમાં ૧૨૦૦ લોકોની વસ્તી છે જ્યારે ૨૦૦૦ જેટલા મૂંગા ઢોર છે. તે તમામને પાણી માટે ટળવળવું પડે છે. ગામના લોકોએ ગામમાં ટાંકી બનાવવા માટે સરકારને ગૌચરની જમીન પણ આપી. પરંતુ ટાંકી બન્યાને બે વર્ષ બાદ પણ ગ્રામજનોને નર્મદાનું પાણી નથી મળી રહ્યું. કારણ કે પાઈપલાઈન પાથરી દેવાઈ છે પરંતુ વીજળીનું કનેકશન ન આપ્યું હોવાથી પીવાનું પાણી ગ્રામજનોના ઘર સુધી નથી પહોચતું નથી.