ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ રાજ બબ્બરે શુક્રવારે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા પર નિવેદન આપતા ભાજપા સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. રાજ બબ્બરે જણાવ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવા પાછળનું કારણ અફઘાનિસ્તાન છે, પૂલવામાં અને પઠાણકોટ નહી. રાજબબ્બરે દાવો કર્યો હતો કે, મસૂદને વૈશ્વિક આતંકી જાહેર કરવાનો શ્રેય પૂર્વ યૂપીએ સરકારને જાય છે, મનમોહન સિંઘના નેતૃત્વમાં યૂપીએ સરકારે વર્ષ ૨૦૦૮-૨૦૦૯માં અફઘાનિસ્તાન મામલે પ્રક્રિયા શરુ કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા રાજ બબ્બરે જણાવ્યું કે, મસૂદને આતંકી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રે ક્યાંય પણ પૂલવામાં અને પઠાણકોટ હુમલાનું વર્ણન કર્યું નથી અને મોદી સમગ્ર ઘટનાનો શ્રેય જાતે જ લઇ રહ્યા છે. અટલ બિહારી બાજપાયી જ મસૂદને કંધાર છોડીને આવ્યા હતા. રાજ બબ્બરે દાવો કર્યો હતો કે, જૈશના મુખિયાને વૈશ્વિક આતંકી જાહેર કરવા પાછળ અમારી સરકારની વિદેશ નીતિ જવાબદાર હતી, જે મનમોહન સિંઘ અને કોંગ્રેસના લીડરોએ વર્ષ ૨૦૦૮-૦૯માં બનાવી હતી.