કોંગ્રેસનો હાથ પકડનાર શત્રુધ્નસિંહા બિહારની પટનાસાહિબ બેઠક ઉપરથી લોકસભાનો ચૂંટણી જંગ લડી રહયા છે અને તેના પત્ની પૂનમ સિંહા સમાજવાદી પક્ષ તરફથી લખનૌથી લડી રહયા છે. શત્રુધ્ન સામે એક તરફ પાર્ટી ધર્મ અને બીજી તરફ પત્ની ધર્મ છે ત્યારે તેઓ પત્ની ધર્મને વધુ મહત્વ આપી રહયા જોવા મળે છે. પૂનમ સિંહાએ પોતાનું ઉમેદવારીપત્ર ભરતા અગાઉ લખનૌમાં રોડ-શો કર્યો હતો ત્યારે કોંગ્રેસના શત્રુધ્ને કોંગ્રેસની સામે જ પડેલા સપાના ઉમેદવાર એવા પોતાના પત્ની માટે મત માગ્યા હતા.લખનૌની બેઠક ઉપર રાજનાથ સિંહ સામે સપાએ હાલમાં જ કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્ન સિંહાના પત્ની પૂનમસિંહાને મેદાનમાં ઉતાર્યા છે, અહી કોંગ્રેસ તરફથી આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ચૂંટણી લડી રહયા છે. એવામાં ગુરૂવારે શત્રુધ્ન પૂનમ સિંહાના પ્રચાર માટે ઉતર્યા હતા અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવની સાથે મંચ શોભાવી કોંગ્રેસ સામે મત માગ્યા હતા. એટલું જ નહી તેમણે અખિલેશ યાદવ અને બસપાના અધ્યક્ષ માયાવતીની પણ ખૂબ જ પ્રશંસા કરી હતી.
સપાના ઉમેદવાર પૂનમ સિંહા માટે શત્રુધ્ને પ્રચાર કરતા કોંગ્રેસના ઉમેદવાર આચાર્ય પ્રમોદ કૃષ્ણમ નારાજ થયા છે અને તેમણે ટવીટ કરી જણાવ્યું છે કે શત્રુધ્નની હરકતો જોતા લાગે છે કે તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાયા ખરા પણ તેમણે આરએસએસ સાથે છેડો ફાડયો નથી. આમ આચાર્યે શત્રુધ્નને સંઘ સામે કઠેરામાં લાવી દીધા છે. હકીકતમાં શત્રુધ્ન સિંહાએ આ અગાઉ પૂનમ સિંહાએ પોતાના ઉમેદવારી કરવાના દિવસે એક રોડ શો કર્યો હતો જેમાં શત્રુધ્ન સામેલ થયા હતા અને એ વખતે અખિલેશમાં કામ કરવાની શકિત અને આવડતના વખાણ કરી વડાપ્રધાન હોય તો અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી જેવા કહ્યું હતું. તેમણે માત્ર પ્રદેશનું જ નહી પણ દેશનું ભવિષ્ય અને વડાપ્રધાનપદના દાવેદાર તરીકે જોતા હોવાની વાત કરી હતી.
કોંગ્રેસ તરફથી પક્ષના અધ્યક્ષ રાહુલ ગાંધીને વડાપ્રધાનપદના દાવેદાર ગણવામાં આવે છે અને રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન બનવાની વાત કરી છે તેવા સંજોગોમાં શત્રુધ્ન સપા માટે પ્રચાર કરે અને વડાપ્રધાનપદ માટે અખિલેશને યોગ્ય ગણાવે તે વાત કોંગ્રેસીઓના ગમતી નથી અને તે અંગે નારાજ પણ છે. લખનૌથી કોંગ્રેસની ટિકિટ ઉપર લડતા આચાર્ય પ્રમોદ કૃષ્ણમે શત્રુધ્ન સિંહા સામે નારાજગી વ્યકત કરી જણાવ્યું છે કે શત્રુધ્ન પત્નીના પ્રચાર માટે આવ્યા છે તો મારે એટલું જ કહેવાનું છે કે તેઓ પાર્ટી ધર્મ બજાવે અને એક દિવસ મારા માટે પણ પ્રચાર કરે. જો કે શત્રુધ્ને આ વાતને બહુ મહત્વ આપ્યું નથી અને એટલે લખનૌમાં ફરી વખત કોંગ્રેસ સામે સપાની રેલીમાં જોડાઇ સપા માટે મત માગે છે. આ જ રીતે શત્રુધ્ન સિંહાએ ર૦૧૪ પછી ભાજપમાં રહીને વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સામે વારંવાર પ્રશ્નો ઉભા કર્યા છે અને વિપક્ષી નેતાઓના સુરમાં સુર મિલાવ્યો છે. એટલે જ ભાજપે તેમની ટિકિટ કાપીને પટનાસાહિબની ટિકિટ ભાજપનાં દિગ્ગજ લીડર રવિશંકર પ્રસાદને આપી છે.
તેમણે હવે કોંગ્રેસનો હાથ પકડયો છે અને કોંગ્રેસ તરફથી પટનાસાહિબની બેઠક લડી રહયા છે.
શત્રુધ્નનો સપાની ટિકિટ ઉપર લડતા પત્નીને માટે પ્રચાર કરવો કોંગ્રેસના ઉમેદવાર માટે ફાંસીનો ફંદો બની રહ્યો છે.