‘પાકિસ્તાનની જેલમાંથી તો મુક્ત થયા પણ માછીમારીક કરવા દરિયામાં તો જવું જ પડશે. એ સિવાય બીજો કોઈ ધંધો આવડતો નથી. આથી ફરજિયાત માછીમારી જ કરવી પડશે’ પાકિસ્તાનની જેલમાંથી છૂટેલા માછીમાર દિનેશ બાંભણીયા વતન પહોંચ્યો તેની ખુશી તો હતી, પણ સાથે ધંધાની લાચારી પણ હતી.
ગુરુવારે પાકિસ્તાનની કેદમાંથી છૂટેલા ૧૦૦ માછીમારો વતન પહોંચ્યા હતા. તેઓ સ્વજનોને મળ્યા ત્યારે જાણે આંખોમાં આંસુનો દરિયો છલકાયો હતો.
પાકિસ્તાનની જેલમાં ભારતના માછીમારોની હાલત ખૂબ જ દયનીય થઈ જાય છે. આ અંગે વાત કરતાં મુક્ત થયેલા માછીમાર વજુ બાંભણીયાએ જણાવ્યું હતું કે, આજે અમારી સાથે કોડીનારના કોટડાના ધનસુખ કરશન ચાવડા નામના માછીમાર આવ્યા છે. જેને ચાર માસ પૂર્વે પાકિસ્તાન જેલમાં પક્ષઘાતનો હુમલો આવ્યો હતો. જે અતિદયનિય સ્થિતિમાં માદરે વતન પહોંચ્યા છે. જેની તાત્કાલીક જરૂરી યોગ્ય સારવાર મળે તેવી આશા છે. ભારત-પાકિસ્તાન વચ્ચે તનાવ જેવી સ્થિતિના સમયએ ભારતીય માછીમારોને અલગ બેરેકમાં રખાયા હતા. દરરોજ સવારે એક કલાક જ બેરેકની બહાર નિકળવા દેતા હતા.
પાકિસ્તાન જેલમાંથી મુક્ત થયેલા ત્રીજા તબક્કાના વધુ બંદીવાન 100 ભારતીય માછીમારો ગુરૂવારે બપોરે માદરે વતન વેરાવળ પહોંચી પોતાના પરીવારજનો ને મળતા લાગણી સભર દ્રશ્યો સર્જાયા હતા. હજુ આગામી દિવસોમાં વધુ 50 જેટલા માછીમારો પાક જેલમાંથી મુકત થઇ વતન આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
રાજય ફિશરિઝ વિભાગના અધિકારીઓએ મુકત થયેલા માછીમારોનો કબજો લઇ આજે માદરે વતન લઇ આવેલ હતા. આ પૂર્વે માછીમારોનું વેરાવળ નજીકના કીડીવાવ ખાતે એસઓજી અને આઇબીએ ઇન્ટ્રોગેશન સાથે પુછપરછ કરી હતી. ત્યારબાદ માછીમારોને બે બસો મારફત વેરાવળની ફિશરિઝ કચેરીએ લઇ આવવામાં આવતા જીએફસીસીએના ચેરમેન વેલજીભાઇ મસાણી, ડાયરેકટર તુલસીભાઇ ગોહેલએ મુકત માછીમારોને હાર પહેરાવી આવકાર્યા હતા.
આ તકે ફિશરિઝ કચેરીના ગ્રાઉન્ડમાં વહેલી સવારથી હાથમાં હાર લઇને એક ખુશીની નજર સાથે ઘોમ ઘખતા તડકામાં કાગડોળે રાહ જોતા માછીમારોના પરીવારજનોનો જયારે બે વર્ષની યાતના વેઠી મુકત થઇ આવેલા માછીમારો સાથે મિલન થતા ત્યાં હાજર સૌકોઇની આંખોમાં હરખની હેલી સાથે અશરૂઓનો દરીયો વહેવા લાગવાની સાથે લાગણી સભર દ્રશ્યો સર્જાયેલા નજરે પડતા હતા.
બંદીવાન માછીમારોના પરીવારને અપાતા ભથ્થાની રકમ સરકારએ ડબલ કરી છે
આ તકે ફિશરિઝ ડાયરેકટર ટી.ડી.પુરોહિતએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન જેલમાં કોઇ માછીમાર કેદ થાય ત્યારથી તેના પરીવારને પ્રતિ દિવસ રૂ.150 ઘર નિર્વાહ ભથ્થુ આપવાની યોજના અમલમાં હતી. આ યોજનામાં પ્રતિ દિવસ અપાતી રકમ તાજેતરમાં રાજય સરકારએ ડબલ કરી પ્રતિ દિવસ રૂ.300 આપવાનું નક્કી કર્યું હતું. જેથી માછીમારોના પરીવારજનોને માસીક રૂ.9 હજાર આપશે. આજે મુક્ત થયેલા 100 માછીમારોમાં ગીર સોમનાથના 81, પોરબંદરના 5, ભાવનગરના 2, જુનાગઢના 1, અમદાવાદના 1, દિવના 10 નો સમાવેશ થાય છે.
તસવીર મહેન્દ્ર ટાંક સોમનાથ