પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી ગોબલ્સ પાર્ટી છે, અને કપિલ સિબ્બલ ગોબલ્સમેન છે, જુઠ્ઠી પાર્ટીના જુઠ્ઠા નેતા છે. પહેલાં વિદેશમાં જઇને ઇ.વી.એમ. સામે જુઠ્ઠા આક્ષેપ કરી ભારતની લોકશાહી-લોકતાંત્રીક વ્યવસ્થાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. દિલ્હીમાં ફેક વિડીયો દ્વારા ભાજપાને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. હવે, લોકસભાની ચૂંટણીના યોજાયેલ બે તબક્કામાં દેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ તરફી લોકજુવાળ જોવા મળે છે ત્યારે ફરી ગુજરાતમાં આવીને જૂનું જુઠ્ઠાણું ફેલાવવાનો કુપ્રયાસ કરે છે. પહેલાં પણ કપિલ સિબ્બલના જુઠ્ઠાણાને જનતા અને મિડીયાએ કોઇ સ્થાન આપ્યું નથી અને જનતા પણ તેમને કોઇ ગંભીરતાથી લેતુ નથી. કોંગ્રેસ પાસે ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ છે, જે આવી ડર્ટી ટ્રીક કર્યા કરે છે. પરંતુ જનતા કોંગ્રેસના ચાલ, ચરિત્ર ઓળખે છે. આ એ જ કપિલ સિબ્બલ છે કે, જેમણે દેશની લોકતાંત્રીક વ્યવસ્થાને બદનામ કરવા ઇ.વી.એમ.ના પુરાવા માંગ્યા, સર્જીકલ અને એર સ્ટ્રાઇક વખતે સૈનિકો પાસે પુરાવાઓ માંગ્યા, સુપ્રીમ કોર્ટમાં એફીડેવીટ કરીને ભગવાન શ્રીરામ કાલ્પનીક પાત્ર છે, શ્રી રામનું અસ્તિત્વ નથી તેમ કહીને ભગવાન શ્રીરામના પુરાવાઓ માંગ્યા અને ગુજરાતમાં આવીને કોઇ સમાજને ઓ.બી.સી. માં અનામત આપવાના જુઠ્ઠા ગતકડા ફેલાવીને વર્ગ વિગ્રહ ફેલાવવાનું કામ કર્યું. કોંગ્રેસના ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટના કન્વીનર એવા કપિલ સિબ્બલને ગુજરાત અને દેશની જનતા ઓળખી ચૂકી છે. કોંગ્રેસે લોકશાહીનું, સૈનિકોનું અને દેશના કરોડો હિન્દુઓની આસ્થા, શ્રધ્ધાનું અપમાન કર્યું છે. શ્રી કમલમ એક રાષ્ટ્રીય પાર્ટીનું હેડ ક્વાર્ટર છે, જેથી ત્યાં લોકોની અવર જવર રહેતી હોય તે સ્વાભાવીક છે. કોઇ એક વ્યક્તિ કમલમમાં આવીને જતી રહે અને બહાર કોઇ ઘટના બને તેને કમલમ સાથે સાંકળીને ફેક વિડીયો બનાવીને ભાજપાને બદનામ કરવાનો પ્રયાસ કોંગ્રેસ માટે એ બુમરેંગ સાબીત થશે. કોંગ્રેસનું આ પૂર્વ યોજીત ભાજપાને બદનામ કરવાનું કાવતરૂ ગુજરાતની જનતા ક્યારેય સ્વિકારવાની નથી. ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપાને આ સુરેન્દ્રનગર ખાતે બનેલ હાર્દિક સાથેની ઘટના કે વ્યક્તિ સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપા ક્યારેય કોઈપણ પ્રકારની હિંસામાં માનતુ નથી કે સમર્થન કરતું નથી. લોકશાહીમાં આ પ્રકારની ઘટના ન બનવી જોઈએ. અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. આ ઘટનાની સંપૂર્ણપણે તપાસ થવી જોઇએ અને કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. હાર્દિકે સમાજ-સમાજ વચ્ચે વેર-ઝેર, વર્ગવિગ્રહ અને અશાંતિ ફેલાવવાના જે પ્રયાસો કર્યા હતા તે ગુજરાતની જનતા સૂપેરે જાણે છે. પોતાની સંસ્થા આગેવાનો અને સમાજને જે રીતે ગેરમાર્ગે દોરીને પોતાનો રાજકીય રોટલો શેકવા માટે હાર્દિકે લોકોને છેતર્યા હતા. તેણે પોતાના સાથીદારો અને સમાજના આગેવાનોની અવગણના અને અપમાન કર્યા છે. તેમની સાથે વિશ્વાસઘાત કર્યો છે, એટલે કેટલીક વાર પોતાના જ વાણી-વર્તન-વ્યવહાર અને કૃત્યને લીધે લોકોના રોષનો ભોગ બનવું પડે છે ત્યારે તેનો ટોપલો કોંગ્રેસ ભાજપા ઉપર નાંખવાનો પ્રયાસ કરે છે તે યોગ્ય નથી.