ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં કાળજું કંપાવનારી હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં એક પત્નીએ પોતાના પતિને માત્ર એટલા માટે જીવતો સળગાવી દીધો કે તે કાળો હતો અને તે પોતાના પતિને પસંદ કરતી નહોતી. ઘટના બાદ પતિને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ લઇ જવાયો. ત્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું. મહિલાની પોલીસે ધરપકડ કરી લીધી છે.
૨૨ વર્ષની પરિણીતાએ પોતાના પતિને પેટ્રોલ છાંટી જીવતો સળગાવી દીધો. બાદમાં હોસ્પિટલ લઇ જવાયો ત્યાં મોત થઇ ગયું. મહિલાની ઓળખ પ્રેમશ્રી તરીકે થઇ છે. આ ખોફનાક પગલું ભરવા પાછળનું એકમાત્ર કારણ પતિનો રંગ કાળો હતો.
ફતેહગઢના ઇન્સ્પેકટરે જણાવ્યું કે આ વિસ્તારમાં રહેતા સત્યવીર સિંહના લગ્ન બે વર્ષ પહેલાં પ્રેમશ્રી નામની મહિલા સાથે થયા હતા. બંનેને એક પાંચ મહિનાની દીકરી છે. તેમ છતાંય સત્યવીર કયારેય પ્રેમશ્રીને પસંદ આવ્યો નહીં.
ગયા સોમવારે સવારે પાંચ વાગ્યે જ્યારે સત્યવીર સિંહ ખાટલામાં સૂતો હતો ત્યારે તેની પત્નીએ પેટ્રોલ છાંટી તેને આગના હવાલે કરી દીધો. આ દરમ્યાન થોડુંક પેટ્રોલ પ્રેમશ્રીના પગ પર પણ પડ્યું, તેના લીધે તેના પગ પણ બળી ગયા. સત્યવીરની ચીસો સાંભળી તેના પરિવારજનો અને આસપાસના લોકો ત્યાં પહોંચ્યા. તરત જ તેને હોસ્પિટલ લઇ ગયા, ત્યાં થોડીક જ વારમાં મોત થયું. પરિવારજનોનું કહેવું છે કે પ્રેમશ્રી લગ્ન બાદથી સત્યવીરને પસંદ કરતી નહોતી તેને કાળા રંગ માટે મોટાભાગે ટોણો મારતી. પરંતુ સત્યવીર તેને ખૂબ પ્રેમ કરતો હતો.
તેને જરાય અંદાજો નહોતો કે એક દિવસ તેની પત્ની જે તેનો જીવ લઇ લેશે. બરેલી પોલીસે સત્યવીરના મોત બાદ તેની પત્ની પ્રેમશ્રીની વિરૂદ્ધ આઇપીસીની કલમ ૩૦૨ અંતર્ગત હત્યાનો કેસ નોંધ્યો છે. પોલીસે આરોપી મહિલાની ધરપકડ કરી લીધી છે.