ભારતમાં ગયા વર્ષે માત્ર વાયુ પ્રદુષણના કારણે ૧૨ લાખ લોકોનાં મોત થયા છે. વાયુ પ્રદુષણ અંગે તાજેતરમાં જ બહાર પડેલા એક વૈશ્વિક રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. ’સ્ટેટ ઓફ ગ્લોબલ એર ૨૦૧૯’ અનુસાર લાંબા સમય સુધી ઘરની બહાર રહેવું કે ઘરમાં વાયુ પ્રદૂષને કારણે વર્ષ ૨૦૧૭માં સ્ટ્રોક, ડાયાબિટીસ, હૃદયરોગનો હુમલો, ફેફસાનું કેન્સર કે ફેફસાની જૂની બીમારીઓના કારણે આખી દુનિયામાં લગભગ ૫૦ લાખ લોકોનાં મોત થયા છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, આમાંથી ૩૦ લાખનાં મોત તો પીએમ ૨.૫ (પ્રદૂષણનું એક ધોરણ) સાથે જોડાયેલા છે. જેમાં અડધાથી વધુ લોકોનાં મોત ભારત અને ચીનમાં થયા છે. વર્ષ ૨૦૧૭માં આ બંને દેશમાં ૧૨-૧૨ લાખ લોકોનાં મોત વાયુ પ્રદુષણના પીએમ ૨.૫ સ્તરને કારણે થયા છે. અમેરિકાની હેલ્થ ઈફેક્ટ્સ ઈન્સ્ટીટ્યુટ દ્વારા બુધવારે આ રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં કહેવાયું છે કે, ભારતમાં આરોગ્ય સંબંધિત જોખમને કારણે થતાં મોતનું ત્રીજું સૌથી મોટું કારણ વાયુ પ્રદુષણ અને ત્યાર પછી ધુમ્રપાન છે. રિપોર્ટ અનુસાર, આ કારણે દક્ષિણ એશિયામાં વર્તમાન સ્થિતિમાં જન્મ લેતા બાળકોનું જીવન અઢી વર્ષ ઘટી જશે. વૈશ્વિક આયુષ્ય દરમાં ૨૦ મહિનાનો ઘટાડો થશે. સંસ્થાએ જણાવ્યું કે, ભારત સરકાર દ્વારા પ્રદુષણનો સામનો કરવા માટે શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, ઘરેલુ એલપીજી કાર્યક્રમ, સ્વચ્છ વાહન ધારાધોરણ અને નવા રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમથી આગામી વર્ષોમાં લોકોને મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી ફાયદો થશે.
આગળની પોસ્ટ