પંચમહાલ બેઠક પર ભાજપે ટિકિટ ન આપતા પ્રભાતસિંહ ચૌહાણે તેમના ટેકેદારો સાથે બેઠક યોજીને ખુલ્લો બળવો પોકાર્યો છે. સમર્થકો સાથેની બેઠકમાં પ્રભાતસિંહે પહેલી એપ્રિલે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. જો કે, પ્રભાતસિંહ અપક્ષ ઉમેદવારી નહી કરે તેવો ભાજપે દાવો કર્યો હતો. જો પ્રભાતસિંહ અપક્ષ લડશે તો, ભાજપ માટે મુશ્કેલી વધશે. ટિકિટ નહી ફાળવાતાં નારાજ થયેલા પ્રભાતસિંહે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, મારી ટિકિટ કપાવવાનું કારણ જેઠાભાઇ ભરવાડ છે. હું જીત્યો હોત તો જેઠાભાઇને ડેરી અને બેંક જવાનો ભય હતો. પંચમહાલ લોકસભા બેઠક પરના ઉમેદવાર તરીકે ભાજપે લુણાવાડા વિધાનસભા બેઠકના સિટિંગ ધારાસભ્ય રતનસિંહ રાઠોડનું નામ જાહેર કર્યું હતું. જેને પગલે સતત બે ટર્મથી ચૂંટાતા પંચમહાલના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ નારાજ થઇ ગયા હતા. પોતાની ટિકિટ કપાયા બાદ પ્રભાતસિંહે તેમના ટેકેદારો સાથે મિટીંગ યોજી હતી. અને તેમની સાથે શું કરવુ તે અંગે ચર્ચા કરી હતી. તેમના ટેકેદારોએ પ્રભાતસિંહને અપક્ષ ચૂંટણી લડવા માટે સમર્થન આપ્યું હતું. જેથી બેઠકમાં જ પ્રભાતસિંહે પહેલી એપ્રિલે ઉમેદવારી કરવાના છે તેવો મેસેજ કાર્યકરો સુધી પહોચાડવાની સમર્થકોને હાકલ કરી હતી. પ્રભાતસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, જેઠાભાઇ ભરવાડ જાણતા હતા કે, પ્રભાતસિંહ જીતશે તો ડેરી પણ જશે અને બેંક પણ જશે. જેથી તેઓએ રતનસિંહને ઉભા કર્યાં હતા. જો કે, પ્રભાતસિંહની અપક્ષ તરીકે લડવાની જાહેરાતને ભાજપે અસ્થાને ગણાવી હતી પરંતુ જો તેમ થયું તો, પંચમહાલ બેઠક પર ભાજપની મુશ્કેલી વધશે.
પાછલી પોસ્ટ