ધોનીએ આમ્રપાલી ગ્રૂપની વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. એમએસ ધોની એ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે કે આમ્રપાલી ગ્રૂપ પાસેથી તેમને ૪૦ કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે. ધોનીની તરફથી અરજી કરવામાં આવી છે કે લાંબા સમય સુધી કંપનીનો ચહેરો રહ્યા. પરંતુ તેમને પૈસા ચૂકવવામાં આવ્યા નથી.
આમ્રપાલી ગ્રૂપ પર પોતાના હજારો હોમ બાયર્સને ઠગવાનો આરોપ છે અને તેમને ઘર નહીં આપ્યાનો આરોપ છે. તેની વિરૂદ્ધ હોમ બાયર્સ એ પણ સુપ્રીમ કોર્ટમાં દરવાજા ખખડાવ્યા હતા. હવે કેપ્ટન કૂલ એમએસ ધોની એ પણ આવું જ કર્યું છે.
પોતાની અરજીમાં તેમણે કહ્યું કે તેઓ ૨૦૦૯ થી ૨૦૧૫ સુધી આમ્રપાલી ગ્રૂપના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા, ત્યારે તેમની સાથે ઘણા કરાર કર્યા હતા. ૨૦૧૬મા જ્યારે આમ્રપાલી ગ્રૂપમાંથી અલગ થયા તો કંપનીની તરફથી બાકી નાણાં ચૂકવવામાં આવ્યા નહીં.
આમ્રપાલી ગ્રૂપ પર અંદાજે ૪૫૦૦૦ હોમ બાયર્સને ઘર નહીં આપવાનો આરોપ છે, તેના લીધે ત્યારે હજારો લોકો એ ગ્રૂપની વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર કેમ્પેઇન ચલાવ્યું હતું. આ કેમ્પેઇન બાદ ધોની એ ઘર ખરીદનારાઓનું સમર્થન કરી આમ્રપાલી ગ્રૂપ સાથે પોતાનો સંબંધ તોડી નાંખ્યો હતો. ત્યારે લોકો માંગણી કરી રહ્યા હતા કે બ્રાન્ડ એમ્બેસેડર હોવાના નાતે ધોનીને તેના હકમાં બોલવું જોઇએ. એમએસ ધોનીની પત્ની સાક્ષી પણ ગ્રૂપનો હિસ્સો હતી.
આમ્રપાલી ગ્રૂપ કેસમાં સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે પણ આકરું વલણ અપનાવ્યું હતું. ગયા વર્ષે ઑક્ટોબરમાં સુપ્રીમ કોર્ટના આદેશ પર જ આમ્રપાલી ગ્રૂપના ડાયરેકટર અનિલ કુમાર શર્મા, શોવ પ્રિયા, અને અજય કુમારની ધરપકડ કરી લેવાઇ હતી. આમ્રપાલી હોમ બાયર્સનો મામલો હજુ પણ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે.