સઉદી અરબના વિદેશ રાજ્યમંત્રી અદેલ અલ જુબૈર સોમવારે ચાર કલાક માટે ભારત યાત્રા પર આવી રહ્યા છે. એરપોર્ટથી તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરશે. આ પછી તે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે બેઠક કરશે અને પછી તરત પાછા જતા રહેશે.
છેલ્લા ૨૦ દિવસોમાં ભારતીય પક્ષ સાથે આ તેમની ત્રીજી વાતચીત હશે. આટલા ઓછા સમય માટે તેમની ભારત યાત્રા પર બધાની નજર છે.ગત સપ્તાહે ભારત-પાકિસ્તાન વચ્ચે ટેન્શન વધારે હતું. ત્યારે જુબૈરે પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ જાહેરાત કરી હતી કે મોહમ્મદ બિન સલમાનના એક મહત્વપૂર્ણ સંદેશા સાથે અલ જુબૈર ૧ માર્ચે ઇસ્લામાબાદનો પ્રવાસ કરશે. જોકે બાદમાં કહેવાયું હતું કે અલ જુબૈર અબુધાબી વાપસ ચાલ્યા ગયા હતા અને સુષ્મા સ્વરાજ સાથે અલગથી વાત કરશે.સુષ્મા સ્વરાજ સાથે નાની મુલાકાત પછી સઉદી પક્ષે ભારતના વિદેશ મંત્રી સાથે વાતચીત માટે ૨ માર્ચે નવી દિલ્હી આવવાનો પ્રયત્ન કર્યો હતો. આ ભારત અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન ઓછું કરવા માટે ખાડી દેશનો પ્રયત્ન હતો. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું હતું કે તેને કોઈ મધ્યસ્થની જરુર નથી.એક વિશ્વસનિય સૂત્રએ જણાવ્યું છે કે ભારતે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે કે ઉપમહાદ્વિપમાં બનેલી તનાવપૂર્ણ સ્થિતિનું કારણ આતંકવાદ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતાની જરુર નથી. જરુર ફક્ત એ વાતની છે કે પાકિસ્તાન પોતાની ધરતી ઉપર ચાલી રહેલા આતંકવાદી સંગઠનો સામે કાર્યવાહી કરે.એક અન્ય સૂત્રએ કહ્યું છે કે એવું લાગે છે કે સઉદી અરબ પોતે મધ્યસ્થના રુપમાં પ્રોજેક્ટ કરવા માંગે છે. સઉદી મંત્રી ગત સપ્તાહે ઇસ્લામાબાદથી સીધા નવી દિલ્હી આવવા માંગતા હતા. જોકે ભારતે સ્પષ્ટ કર્યું હતું કે ક્રાઉન પ્રિન્સ સલમાનના પ્રવાસ દરમિયાન થયેલી વાતોને જ આગળ વધારવી છે તો ઠીક નહીંતર ભારત-પાકિસ્તાનને લઈને કોઇ વાતચીત થશે નહીં.