પાકિસ્તાની સરકાર અને પાકિસ્તાની સેના બાલાકોટ હુમલામાં ભારતની કાર્યવાહીમાં થયેલા નુકસાનની વાત કબૂલી રહી નથી પરંતુ ત્રાસવાદી સંગઠન જૈશે મોહમ્મદે પોતે ભારતના હવાઈ હુમલાના લીધે ભારે નુકસાન થયું હોવાની વાત કબૂલી લીધી છે. જૈશના લીડર મસુદ અઝહરના નાના ભાઈ મૌલાના અમ્મારે ઓડિયા ક્લીપ જારી કરીને કબૂલાત કરી છે કે, ભારતન ાયુદ્ધવિમાનોએ ખેબર પખ્તુનખ્વા પ્રાંતના બાલાકોટમાં જે હવાઈ હુમલા કર્યા છે તેના લીધે ભારે નુકસાન થયું છે. સોશિયલ મિડિયા પર વાયરલ થઇ રહેલા ઓડિયોમાં મૌલાના અમ્માર ધાર્મિક શિક્ષણ સંસ્થા પર બોંબ ઝીંકવાની વાત કબૂલ કરતો દેખાઈ રહ્યો છે. આ ઉપરાંત અમ્માર ભારતીય યુદ્ધ વિમાનો દ્વારા આ સ્થળોને નષ્ટ કરવાને લઇને પણ નાખુશ નજરે પડે છે જેમાં જેહાદનું શિક્ષણ આપવામાં આવે છે. ઓડિયોમાં મૌલાના અમ્મારે કહ્યું છે કે, આજે દુશ્મનો પહાડોને પાર કરીને અમારી જમીનમાં ઘુસીને ઇસ્લામિક સેન્ટરને નષ્ટ કરી દીધા છે. દુશ્મને પોતે જ તમામ પ્રશ્નોના જવાબ આપી દીધા છે. દુશ્મન દેશે જંગની શરૂઆત કરી છે. એમ માનવામાં આવે છે કે, ભારત તરફથી કરવામાં આવેલા હવાઈ હુમલાના એક દિવસ બાદ પેશાવરમાં એક જનસભામાં મૌલાના અમ્મારે આ મુજબની વાત કરી હતી. મૌલાનાએ એમ પણ કહ્યું હતું કે, ભારતના યુદ્ધ વિમાનોએ કોઇ એજન્સીના સેફ હાઉસને ટાર્ગેટ બનાવ્યા ન હતા. કોઇ એજન્સીના હેડક્વાર્ટર પર પણ બોંબ ઝીંક્યા ન હતા પરંતુ એવા કેન્દ્રો ઉપર હુમલા કર્યા હતા જ્યાં વિદ્યાર્થીઓ જેહાદ અંગે શિક્ષણ મેળવી રહ્યા હતા. કાશ્મીરીઓના મુસ્લિમોની મદદ કરી શકાય તે માટે અહીં શિક્ષણ મેળવી રહ્યા હતા. આમા એમ પણ કહેવામાં આવ્યું છે કે, આ કોઇ એજન્સી સામે જેહાદ નથી. દુશ્મન દેશના લોકો અમારી સરહદમાં ઘુસ્યા હતા અને અમારી ઉપર હુમલા કર્યા હતા. ભારત ઇચ્છે છે કે અમે જેહાદ તેમની સામે શરૂ કરીએ.
મસુદ અઝહરના નાના ભાઈએ ઓડિયો ક્લિપમાં કબૂલાત કરી છે કે, ત્રાસવાદી અડ્ડાઓને ભારે નુકસાન થયું છે. અન્ય એક રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, જ્યારે હુમલો કરવામાં આવ્યો ત્યારે જાબાટોપ નામની જગ્યા પર મોટી સંખ્યામાં આતંકવાદીઓ હતા જેને ભારતીય હવાઈ દળે ફૂંકી મારવામાં સફળતા મેળવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે, સેંકડો મૃતદેહો ગાડીમાં ભરીને લઇ જવામાં આવ્યા હતા.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ