તાજેતરના પુલવામા હુમલા ઉપરાંત ભારતમાં સંખ્યાબંધ આતંકવાદી હુમલાનો સૂત્રધાર અને જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ હોવાની પાકિસ્તાની વિદેશપ્રધાન શાહ મહેમુદ કૂરેશીએ શુક્રવારે કબૂલાત કરી હતી. જોકે તેમણે એમ પણ જાહેર કર્યું હતું કે તેની તબિયત અત્યંત નાદુરસ્ત છે અને તે ઘરની બહાર પણ નીકળી શકે તેવી સ્થિતિમાં નથી.સીએનએનને આપેલી એક મુલાકાતમાં કૂરેશીએ જણાવ્યું હતું કે અઝહરની ધરપકડ કરાવવા માટે પહેલા તો ભારતે પાકિસ્તાની સત્તાવાળાઓને પુરાવા આપવા પડશે જે પાકિસ્તાની કોર્ટને માન્ય હોય.મસૂદ અઝહરનું ત્રાસવાદી સંગઠન જેઇએમ ભારતમાં ઘણા હુમલામાં સંડોવાયેલું છે જેમાં ૨૦૦૧માં સંસદ પરનો હુમલો, ૨૦૧૬માં પઠાણકોટ એર ફોર્સ કેમ્પ પર થયેલા હુમલા, ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીર અને ઉરીમાં ભારતીય લશ્કરની છાવણી પરના હુમલા અને તાજેતરમાં પુલવામા ખાતે સીઆરપીએફ પરના હુમલાનો સમાવેશ થાય છે. છેલ્લે પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તનાવની સ્થિતિ ઘણી વધી ગઈ છે.પુલવામા હુમલામાં જૈશની ભૂમિકા અંગે બુધવારે ભારતે કેટલાક દસ્તાવેજો પાકિસ્તાનને આપ્યા હતા જેમાં પુલવામા હુમલા ઉપરાંત પાકિસ્તાનમાં ચાલતા ત્રાસવાદી કેમ્પ અને આ હુમલા કરવા માટે ત્રાસવાદીઓએ બાલાકોટ, ખૈબર ફખ્તુનખાવાનો રૂટ લીધો હતો તેનો ઉલ્લેખ છે.
પાકસ્તાની વિદેશપ્રધાને જણાવ્યું હતું કે ભારત પાસે પુરતા પુરાવા હોય તો અમારી સાથે બેસીને મંત્રણા કરે અને અમે ઘટતું કરીશું.
આગળની પોસ્ટ