જમ્મુ-કાશ્મીરમાં પુલવામા એટેક પછી કેન્દ્ર સરકાર આતંક વિરુદ્ધ આકરા પગલાં લઈ રહી છે. ગૃહ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમાત-એ-ઈસ્લામી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને કાશ્મીર ખીણમાં મોટા પાયે ફંડિંગ કરે છે. આ પ્રમાણેની સમગ્ર માહિતી લઈને ગૃહ મંત્રાલયની કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક પછી જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, હવે આગામી ટૂંક સમયમાં ભાગલાવાદીઓ ઉપર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવશે.આ પહેલાં પણ બે વખત જમાત-એ-ઈસ્લામીને તેની પ્રવૃતિઓને કારણે પ્રતિબંધિત કરાયું હતું. પહેલી વખત જમ્મુ કાશ્મીર સરકારે આ સંગઠનને ૧૯૭૫માં ૨ વર્ષ માટે બેન કર્યું હતું. જ્યારે બીજી વખત કેન્દ્ર સરકારે ૧૯૯૦માં તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. જે બેન ૧૯૯૩ સુધી રહ્યો હતો. જમાત-એ-ઈસ્લામી ધાર્મિક પ્રવૃતિઓના નામે ફંડ જમા કરે છે. તે ફંડનો ઉપયોગ રાષ્ટ્ર વિરોધ અલગતાવાદી પ્રવૃતિઓ માટે કરે છે. જમાત-એ-ઈસ્લામી સક્રિય રૂપે હિઝબુલ મુજાહિદ્દીન માટે પોતાના સંસાધનોનો ઉપયોગ કરે છે. જમ્મુ કાશ્મીરના યુવકો ખાસ કરીને ગ્રામીણ ક્ષેત્રોના યુવકોના બ્રેનવોશ કરીને તેમને ભારત વિરૂદ્ધ ભડકાવવા અને આતંકી પ્રવૃતિઓમાં સામેલ કરવાનું કામ કરે છે.આ સંગઠન ’જમાત-એ-ઈસ્લામી હિન્દ’થી એકદમ અલગ સંગઠન છે. આ બંને સંગઠનને એક બીજા સાથે કોઈ લેવા-દેવા નથી. વર્ષ ૧૯૫૩માં જમાત-એ-ઈસ્લામીએ તેમનું અલગ બંધારણ બનાવ્યું હતું.કાશ્મીરના સૌથી મોટા આતંકી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીને જમાત-એ-ઈસ્લામીને જમ્મુ-કાશ્મીરમાં ઉભુ કર્યું છે. હિઝબુલ મુજાહિદ્દીનને આ સંગઠને દરેક પ્રકારની મદદ કરી છે. ગૃહમંત્રાલયના સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે આતંકીઓને ટ્રેઈન કરવા, તેમને ફંડિંગ આપવું, તેમને આસરો આપવો જેવા વગેરે કામ જમાત-એ-ઈસ્લામી સંગઠન કરે છે. એક પ્રકારે જમાત-એ-ઈસ્લામી જમ્મુ કાશ્મીરના મિલિટેન્ટ વિંગ છે.હિઝબુલ મુજાહિદ્દીનને પાકિસ્તાનનું સંરક્ષણ મળી રહ્યું છે. તેઓ પાકિસ્તાન દ્વારા પૂરા પાડવામાં આવતા હથિયારો અને પ્રશિક્ષણના બળ પર કાશ્મીરમાં આતંકવાદી ઘટનાઓ માટે કામ કરી રહ્યાં છે. આ કામ માટે જમાત-એ-ઈસ્લામી ઘણી હદ સુધી જવાબદાર છે. હિઝબુલ મુજાહિદ્દીનના મુખિયા સૈયદ સલાહુદ્દીન જમ્મુ કાશ્મીર રાજ્યને પાકિસ્તાનમાં સમાવી દેવાના સમર્થક છે. સૈયદ સલાહુદ્દીન હજી પણ પાકિસ્તાનમાં છુપાયેલો છે. તે ઘણાં આતંકી સંગઠનોના સમૂહ યૂનાઈટેડ જેહાદ કાઉન્સિલના પણ અધ્યક્ષ છે.
જમાત-એ-ઈસ્લામી તેમની ભાગલાવાદી વિચારધારા અને પાકિસ્તાની એજન્ડા અંર્તગત કાશ્મીર ખીણમાં કામ કરે છે. આ સંગઠન ભાગલાવાદી, આતંકવાદી તત્વોને વૈચારિક સમર્થન કરે છે. તેમની રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમાં પણ ભરપૂર મદદ કરે છે.