સરકાર હસ્તકની ટેલિકોમ સર્વીસીસ પ્રોવાઈડર કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ એના કર્મચારીઓની સંખ્યામાં ધરખમપણે કાપ મૂકવા વિચારે છે.
સૂત્રોનું કહેવું છે કે બીએસએનએલ ૫૪,૪૫૧ કર્મચારીઓને છૂટા કરવા વિચારે છે. આ માટે તે કર્મચારી નિવૃત્તિ વયને ઘટાડીને ૫૮ વર્ષ કરશે.
સૂત્રોનું કહેવું છે કે કંપનીનાં કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના (વીઆરએસ) રજૂ કરવામાં આવે એવી ધારણા છે.બીએસએનએલની બોર્ડ મીટિંગ ૧૫ ફેબ્રુઆરીના શુક્રવારે નવી દિલ્હીમાં મળવાની છે. એ વખતે આ પ્રસ્તાવો અંગે ચર્ચા કરવામાં આવશે એવી ધારણા છે.
જો વીઆરએસનો અમલ કરાશે તો બીએસએનએલમાં કર્મચારીઓ માટે નિવૃત્તિ વય ઘટીને ૫૮ થશે જે હાલ ૬૦ વર્ષ છે.
આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓને છૂટા કરીને કંપની આવતા છ વર્ષ માટે રૂ. ૧૩,૮૯૫ કરોડ જેટલી માતબર રકમ બચાવી શકશે એવી ધારણા છે.
હાલ કંપની આર્થિક ખોટમાં છે. એણે વર્ષ ૨૦૧૭-૧૮ દરમિયાન રૂ. ૭,૯૯૩ કરોડની ખોટ દર્શાવી હતી, જે તેના પાછલા વર્ષ કરતાં ૬૬ ટકા વધારે હતી.