Aapnu Gujarat
ગુજરાત

વીએચપી-એચએચપી વચ્ચે કાનૂની લડાઈ થાય તેવી વકી

પાલડીની મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કાર્યાલય વણિકર ભવનના કબ્જાના મુદ્દે ગઇકાલે વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ(એએચપી)ના કાર્યકરો સામ સામે આવી ગયા હતા અને એક તબક્કે બંને સંસ્થાના કાર્યકરો અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થતાં વાતાવરણ ગરમાયું હતું. વણિકર ભવનના કબ્જાને લઇ વીએચપી અને એએચપીના કાર્યકરો અને આગેવાનો પોતપોતાના દાવા પર મક્કમ છે ત્યારે આજે ડો.વણીકર સ્મારક ભવન ખાતે વિવાદીત પોસ્ટર્સ લાગી ગયા હતા, જેમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે, ડો.વણીકર સ્મારક ભવનની માલિકી ડો.વણીકર સ્મારક ટ્રસ્ટની છે અને તેથી કોઇએ ગેરકાયેદસર પ્રવેસ કરવો નહી, નહીતર કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. બીજીબાજુ, આજે પણ વણિકર ભવનની બહાર અને અંદર પોલીસનો લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દેવાયો હતો. જો કે, વીએચપી અને એએચપી કાર્યકરોની ચહલપહલના કારણે આ વિવાદ વધુ ગરમાયો છે. આગામી દિવસોમાં વીએચપી અને એએચપી વચ્ચે ભવન મામલે કાનૂની જંગ ખેલાય તેવી પૂરી શકયતા છે.
ગઇકાલે સવારે વીએચપી અને આરએસએસના કાર્યકરોએ વણિકર ભવનમાં પ્રવેશી ગેરકાયદે કબજો લેવાનો પ્રયાસ કરતા વાત વણસી હતી. એએચપીએ દાવો કર્યો હતો કે, આ સંકુલની જગ્યા તેમના કબ્જામાં છે અને તે પણ કોર્ટના આદેશ તેમ કોર્ટ કમીશનના નિર્ણય મુજબ તેઓનું પઝેશન બોલે છે પરંતુ ડો.પ્રવીણ તોગડિયા વીએચપીમાંથી હકાલપટ્ટી બાદ હવે સરકારના ઇશારે આ ભવન પચાવી પાડવાના વીએચપી દ્વારા હીન પ્રયાસો થઇ રહ્યા છે. તો, સામેપક્ષે વીએચપીએ આ ભવન તેમનું હાવાનો દાવો કર્યો હતો. એક તબક્કે વણિકર ભવન ખાતે પોલીસની વિશાળ ફૌજ તૈનાત કરી દેવાઇ હતી. એએચપીએ અદાલતના હુકમના ઉલ્લંઘન બદલ વીએચપી સામે કેસ કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. દરમ્યાન આ સમગ્ર ઘટના અંગે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો.પ્રવીણ તોગડિયાએ ટિ્‌વટ કર્યું હતું કે, અમારી એએચપી ગુજરાત અમદાવાદ ઓફિસ પર પોલીસે ગુંડાઓને સાથે લઈ હુમલો કર્યો છે. અમને કોર્ટમાંથી ઓફિસ પર હક મળ્યો છે. આ લોકો કોર્ટને પણ માનતા નથી. મારા રૂમ અને બાકીના તાળા તોડીને અમારો સામાન મારો સામાન, મારા ભગવાનની મૂર્તિઓ સડકપર ફેંકી છે. સત્તાના મદમાં ભયંકર દમન. દરમ્યાન ડો.તોગડિયાએ મોદીના ઇશારે સરકાર અને પોલીસના ઇશારે આ ગેરકાયદે હીન કૃત્ય આચરાયું હોવાના ગંભીર આક્ષેપ પણ કર્યા હતા. બીજી તરફ વીએચપીએ પણ આ કાર્યાલયના અસલ દસ્તાવેજ પોતાની પાસે હોવાનો દાવો કર્યો હતો તેમજ ટ્રસ્ટના કુલ ૧૫માંથી પ્રવીણ તોગડિયા અને રણછોડ ભરવાડ સહિત પાંચ ટ્રસ્ટીઓ હેતુ વિરૂદ્ધ આ ભવનનો ઉપયોગ કરતા હોવાનો આરોપ મુક્યો હતો. વણિકર ભવનનો કબ્જો જે ટ્રસ્ટ પાસે છે તેમાં કુલ ૧૫ ટ્રસ્ટીઓ છે. વીએચપીથી અલગ થઈ આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદની રચના કરનાર ડો.પ્રવીણ તોગડીયા સહિત ૫ ટ્રસ્ટીઓ વિરુદ્ધ વિશ્વ હિન્દુ પરિષદના ૧૦ ટ્રસ્ટીઓ હોવાનું કહેવાય છે. આમ વણિકર ભવનનો કબજો મેળવવા હવે વીએચપી અને એએચપી સમગ્ર વિવાદમાં કાનૂની સહારો લે તેવી પૂરી શકયતા છે.

Related posts

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે જરૂરીયાત લોકોને કરીયાણાની કીટ નું વિતરણ કરાયું..

aapnugujarat

અરવલ્લી એક્સપ્રેસમાં પેન્ટ્રીકારના વેઈટરે યુવતી પર બળાત્કાર ગુજારતાં ચકચાર

aapnugujarat

સૈયદનાના ઉત્તરાધિકાર કેસમાં ઉલટ તપાસ કરાઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1