અરવલ્લી એક્સપ્રેસમાં સુરત નજીક પેન્ટ્રીકારના વેઈટરે મુસાફર યુવતી પર પાશવી બળાત્કાર ગુજારતાં રેલવે તંત્રમાં ભારે દોડધામ સાથે ચકચાર મચી ગઈ હતી.પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે મુંબઈની એક યુવતી અરવલ્લી એક્સપ્રેસમાં જયપુર જઈ રહી હતી. આ યુવતીની ટિકિટ કન્ફર્મ ન હોઈ તે અલગ અલગ રેલવેના કર્મચારીનો વારંવાર ચાલુ ટ્રેને સંપર્ક કરતી હતી. આ ટ્રેન જ્યારે સુરત પહોંચી ત્યારે યુવતીની જરૂરિયાત પારખી ગયેલા પેન્ટ્રીકારના વેઈટર અઝહરે આ યુવતી પાસે આવી તેની ટિકિટ કન્ફર્મ કરી આપવાની ટીસી સાથે વાતચીત થઈ ગઈ છે તેવું કહી લાલચ આપી હતી. ત્યારબાદ યુવતીને વિશ્વાસમાં લઈ રાત્રીના સમયે તેને પેન્ટ્રીકારમાં લઈ ગયો હતો ત્યાં જઈ વેઈટરે યુવતીને ધાકધમકી આપી તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.બળાત્કાર ગુજાર્યા બાદ આરોપી યુવતીને પેન્ટ્રીકારમાં છોડી નાસી ગયો હતો. બળાત્કારનો ભોગ બનેલી યુવતીએ જયપુર પહોંચી ત્યાં પોલીસ સ્ટેશનમાં પોતાના પર બળાત્કાર થયો હોવાની ફરિયાદ નોંધાવતાં જયપુર પોલીસે આ અંગે ગુનો દાખલ કરી ઝીરો નંબરથી ફરિયાદ સુરત રેલવે પોલીસને મોકલી આપી હતી. સુરત પોલીસે ત્વરિત તપાસ હાથ ધરતા બળાત્કાર ગુજારનાર શખસ પેન્ટ્રીકારના વેઈટર હોવાનું જાણવા મળ્યું છે.