નરોડા પાટિયા રમખાણ કેસમાં પૂર્વ બજરંગ દળના નેતા બાબુ બજરંગીની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. બજરંગીને ૨૦૦૨ના નરોડા પાટિયા કેસમાં ૨૧ વર્ષ જેલની સજા ફટકારવામાં આવી છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે ૨૦૦૨ના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર દોષિતોને જમાનત પર છોડવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતા વાળી પીઠે દોષિતોને જમાનત આપી હતી.
પીઠે કહ્યું હતું કે તેમને દોષિત ઠેરાવવા પર સંદેહ છે. આ કિસ્સામાં હજુ પણ ચર્ચા થવાની સંભાવના છે. તેથી તેમને જમાનત પર છોડવામાં આવે.આ બધા દોષીઓને આઈપીસીની કલમ ૪૩૬ હેઠળ દોષિત ઠેરાવવામાં આવ્યા હતા.
આ પહેલા ગુજરાત હાઇકોર્ટ નરોડા પાટિયા કેસમાં ચાર દોષીઓને સજા સંભળાવી હતી. ઉમેશ ભરવાડ, પદમેન્દ્ર સિંહ રાજપુત અને રાજકુમાર ચોમલને કોર્ટે ૧૦ વર્ષની સશ્રમ કેદની સજા ફટકારી હતી અને આરોપીઓને એક હજાર રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.
આ સાથે જ ગુજરાત હાઇકોર્ટે બજરંગ પાર્ટીના નેતા બાબુ બજરંગીને દોષિત ઠેરવ્યા હતા. જોકે પુરાવાના અભાવના કારણે ભૂતપૂર્વ ભાજપ મંત્રી માયા કોડનાનીને મુક્ત કરાયા હતા.નરોડા પાટીયા રમખાણ કેસ વર્ષ ૨૦૦૨માં ગુજરાત ગોધરા કાંડ સાથે જોડાયેલો છે. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૦૨ના ગોધરા કાંડમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેનના એક કોચને બાળી નાખવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં અયોધ્યાથી મોટી સંખ્યામાં કારસેવકો અમદાવાદ જવા માટે રવાના થયા હતા. તેમાં ૫૯ કારસેવકોના મૃત્યુ થયા હતા. આ ઘટના પછી વિશ્વ હિન્દુ પરિષદે ૨૮ ફેબ્રુઆરી, ૨૦૦૨ના રોજ બંધનું એલાન કર્યું હતું. આ દરમિયાન નરોડા પાટીયા વિસ્તારમાં ઉગ્ર ભીડે લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કર્યો હતો અને તેમાં ૯૭ લોકોની હત્યા કરી હતી.