મહાત્મા ગાંધીની યાદમાં, દિલ્હી પબ્લિક સ્કૂલ-ઇસ્ટ (ડી.પી.એસ. ઇસ્ટ)ના શિક્ષકોએ આજે ઐતિહાસિક કોચરબ આશ્રમ ખાતે રેંટીયો કાંતવાની તાલીમ લીધી હતી. ૩૦મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિન છે અને આવનારી પેઢીમાં તેમના સંદેશાઓનું વહન થાય તે હેતુથી ડી.પી.એસ. ઇસ્ટના ૧૫ શિક્ષકોએ રેંટીયો કાંતવાની તાલીમ લીધી અને આવનારા શૈક્ષણિક સત્રમાં તે વિદ્યાર્થીઓને પણ શીખવવામાં આવશે.
૧૯૧૫માં સ્થાપિત કોચરબ આશ્રમ ગાંધીજીએ ભારતમાં સ્થાપેલો પહેલો આશ્રમ હતો અને ગાંધીજીના સત્ય અને અહિંસાના સંદેશ તેમજ આપણી સ્વાતંત્ર્ય ચળવળની સમજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. કોચરબ આશ્રમના સંચાલક શ્રી રમેશભાઈ ત્રિવેદી અને તેમના સાથીઓએ શિક્ષકોને કાર્યશાળામાં તાલીમ આપી.
આ પ્રસંગે ડી.પી.એસ. ઇસ્ટના આચાર્ય શ્રી હિતેશ પૂરીએ જણાવ્યું કે, “વૈશ્વિક નાગરીકો તૈયાર કરવાની અમારી નેમ અંતર્ગત અમે હંમેશા અમારા વિદ્યાર્થીઓને અભ્યાસક્રમ સિવાયની બાબતો સાથે અવગત કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. વધુમાં, આજની દુનિયામાં, ગાંધીજીના સંદેશાઓ આ નાના બાળકોને પોતાનાથી પર સમગ્ર માનવતા માટે સારું વિચારવામાં મદદરૂપ થશે. અમને વિશ્વાસ છે કે અમારા શિક્ષકો તેમની આજની તાલીમને વર્ગખંડ સુધી લઇ જશે અને અમારી શાળાના દરેક બાળક ઉપર આની અસર છોડશે.”