મોનિટરી પોલિસીની સમીક્ષા પહેલા આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે જાહેર ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. બેંકિંગ સેક્ટર પાસેથી રેગ્યુલેટરની અપેક્ષાના સંદર્ભમાં બેંકોને માહિતી આપવામાં આવી હતી. બેંકોના વડાઓ સાથેની આ બેઠકમાં અન્ય જુદા જુદા પાસાઓ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આરબીઆઈ વર્ષ ૨૦૧૮-૧૯ માટે તેની છઠ્ઠી દ્વિમાસિક નાણાંકીય નીતિ સમીક્ષાની બેઠકની જાહેરાત સાતમી ફેબ્રુઆરીના દિવસે કરનાર છે. આરબીઆઈના નવા ગવર્નર હેઠળ પ્રથમ મોનિટરી રિવ્યુની બેઠક યોજાનાર છે. મૂળભૂતરીતે સામાન્ય અને જાહેર ક્ષેત્રની બેંકોમાં બેંકિંગ સેક્ટર પાસેથી રેગ્યુલેટરની અપેક્ષા અંગે માહિતી આપવામાં આવે છે. તેમના અભિપ્રાય પણ લેવામાં આવે છે. પીએસયુ બેંકોના સીઈઓ સાથે બેઠક યોજ્યા બાદ દાસે આજે આ મુજબની વાત કરી હતી. જાણકાર લોકો માની રહ્યા છે કે, આરબીઆઈ તેની આગામી સમીક્ષા બેઠકમાં વ્યાજદરમાં મહત્વપૂર્ણ ઘટાડો કરી શકે છે. રિટેલ અને હોલસેલ પ્રાઇઝ આધારિત ફુગાવામાં ઘટાડો થયા બાદ રિઝર્વ બેંક દ્વારા તેના પોલિસી વલણમાં ફેરફાર કરવામાં આવી શકે છે. કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત સીપીઆઇ ફુગાવો ડિસેમ્બર મહિનામાં ઘટીને ૨.૧૯ ટકા થઇ ગયો હતો જે ૧૮ મહિનાની સૌથી નીચી સપાટી દર્શાવે છે. નવેમ્બર મહિનામાં સીપીઆઈ ફુગાવો ૨.૩૩ ટકા રહ્યો હતો જ્યારે ડિસેમ્બર ૨૦૧૭માં ૫.૨૧ ટકા રહ્યો હતો. આવી જ રીતે હોલસેલ પ્રાઇઝ ઇન્ડેક્સ આધારિત ફુગાવો ડિસેમ્બર મહિનામાં ૩.૮૦ ટકાની આઠ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો જ્યારે નવેમ્બર મહિનામાં ૪.૬૪ ટકા, તેમજ ડિસેમ્બર ૨૦૧૭માં ૩.૫૮ ટકા રહ્યો હતો. એટલે કે, વ્યાજદરમાં ઘટાડો થવા માટે ચિત્ર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.