ટેસ્ટ સિરીઝ બાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૩ મેચોની વનડે સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે મેચોની સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. વનડે ટીમમાં મહેન્દ્ર સિંહ ધોનીની એન્ટ્રી થઈ છે અને રિષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. આ વર્ષે ભારતે આઈસીસી વર્લ્ડ કપ પણ રમવાનો છે.
વર્લ્ડ કપ ૨૦૧૯મા ટીમમાં રિષભ પંતની જગ્યાને લઈને મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે નિવેદન આપ્યું છે. ઈન્ડિયા ટૂડેને આપેલા એક ઈન્ટરવ્યૂમાં પ્રસાદે કહ્યું, ભલે વનડે ટીમમાંથી પંતને બહાર કરી દેવામાં આવ્યો છે, પરંતુ ૨૦૧૯ના વર્લ્ડ કપ માટે તેના પર નજર રાખવામાં આવી રહી છે.
એમએસકે પ્રસાદે કહ્યું, તેમાં કોઈ શંકા નથી કે વર્લ્ડ કપ માટે સામેલ વિકેટકીપરોમાં તે એક છે. જે ત્રણ વિકેટકીપરોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તે બધા સારૂ કરી રહ્યાં છે. પંત અમારા વિશ્વકપના પ્લાનમાં સામેલ છે. તેને વર્કલોડ ઓછો કરવા માટે આરામ આપવામાં આવ્યો છે.
એમએસકે પ્રસાદે કહ્યું કે, વનડે ટીમમાં રિષભ પંતને સામેલ ન કરવો માત્ર વર્કલોડ મેનેજમેન્ટનો ભાગ છે. તેણે કહ્યું, તમે જોઈ રહ્યાં છો કે, આ દિવસોમાં ઘણા ખેલાડી આરામ કરી રહ્યાં છે. પંત પહેલા ટી૨૦ અને પછી ૪ ટેસ્ટ રમી છે. તમારૂ શરીર આરામ ઈચ્છે છે. મને આશા છે કે, તે વધુ મજબૂત થઈને વાપસી કરશે.
પ્રસાદે કહ્યું, તે એકમાત્ર વિકેટકીપર છે, જેણે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં સદી ફટકારી છે. અમે તેને કેટલોક ટાર્ગેટ આપ્યો છે. અમે તેને કેટલાક મેચો માટે સેટ કર્યો છે. સિડની ટેસ્ટ તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ હતો.