વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ શ્રેણીમાં ૨-૧થી હરાવીને ઇતિહાસ રચી દીધો છે. જીતની ખુશીમાં ઉત્સાહિત કોચ રવિ શાસ્ત્રીએ ટીમ ઇન્ડિયાની ઓસ્ટ્રેલિયન ધરતી પરની આ જીતને ૧૯૮૩ના વર્લ્ડ કપ કરતા પણ મોટી જીત બતાવી છે. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે તે ઐતિહાસિક જીત પછી કેવી લાગણી અનુભવી રહ્યા છે. તો શાસ્ત્રીએ કહ્યું હતું કે હું તમને બતાવીશ કે હું આ જીતથી કેટલો ઉત્સાહિત થયો છું. આ જીત ૧૯૮૩ના વર્લ્ડ કપ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ ૧૯૮૫ કરતા પણ મોટી જીત છે. કારણ કે ટેસ્ટ ક્રિકેટ અસલી ફોર્મેટ છે.જે રીતે શાસ્ત્રીએ આ જીતને ટીમ ઇન્ડિયાની સૌથી મોટી જીત ગણાવી છે તેને જોતા ધોનીની કેપ્ટનશિપમાં ૨૦૦૭ની ટી-૨૦ વર્લ્ડ કપની જીત અને ૨૦૧૧ વર્લ્ડ કપની જીત પણ ઓછી જ ન આંકી પણ ભુલાવી દીધી હતી. આટલું જ નહીં સૌરવ ગાંગુલીની પાકિસ્તાનમાં પ્રથમ ઐતિહાસિક જીત, દ્રવિડની ઇંગ્લેન્ડમાં ૨૧ વર્ષ પછી ઐતિહાસિક જીત અને દ્રવિડની ૨૦૦૬માં વેસ્ટ ઇન્ડીઝમાં ટેસ્ટ શ્રેણી જીતને કોઈ મહત્વ આપ્યું ન હતું.આ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં રમાયેલી ચોથી ટેસ્ટ વરસાદના કારણે રદ થઈ તો ટીમ ઇન્ડિયાએ ૨-૧થી શ્રેણી પોતાના નામે કરી લીધી હતી. સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે ટીમને ઉજવણી કરતા જોઈ તો મારી આંખમાં પણ આંસુ આવી ગયા હતા.ભારત પ્રથમ એશિયન ટીમ બની છે જેણે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી છે. આ સાથે ભારત ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા પછી ભારત પાંચમી ટીમ છે, જેણે ઓસ્ટ્રેલિયા સામે તેના ઘરઆંગણે જીત મેળવી છે. ટીમને આ જીત ૭૧ વર્ષ, ૩૧ શ્રેણી અને ૯૮ ટેસ્ટ પછી મળી છે. આ દરમિયાન ૨૭૨ ખેલાડી રમ્યા હતા અને ૨૯ સુકાની બદલાયા હતા.