ગાયોનું કલ્યાણ થાય તે માટે ઉત્તર પ્રદેશ સરકાર નાગરિકો પાસેથી ૨ ટકા ગાય વેરો લેશે. સરકારની કેબિનેટે આ વેરો લેવા માટેની મંજૂરી આપી દીધી છે. સરકારનો ઉદ્દેશ્ય એવો છે કે, આ વેરામાંથી દરેક જિલ્લામાં, ગ્રામ પંચાયતોમાં અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ગૌશાળા બનાવવામાં આવશે. મનરેગા હેઠળ રૂપિયા ૧૦૦ કરોડ સરકારે ફાળવ્યા છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, દરેક જિલ્લામાં ૧૦૦૦ ગાયો રહી શકે તેટલી ક્ષમતાની ગૌશાળા બનાવવામાં આવશે. આ માટે સરકાર લોકો પાસેથી ૨ ટકા “ગાય વેરો” ઉઘરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા અઠવાડિયે, રખડતી ગાયોનાં ત્રાસથી કંટાળી ખેડૂતો આ ગાયોને સરકારી બિલ્ડીંગોમાં બાંધી દીધી હતી. રખડતી ગાયો ખેડૂતોનાં પાકને નુકશાન કરતી હતી તેથી કંટાળીને તેમણે આ પગલુ ભર્યુ હતું. આ સ્થિતિ એટલી બધી વણસી ગઇ કે, ઘણા બધા ગામોમાં શાળાઓ બંધી કરી દેવી પડી. કેમ કે, તેમને એવો ડર હતો કે, લોકો ગાયો ત્યાં છોડી જશે.આ પછી ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો કે, રખડતી ગાયોની સારી સંભાળ રાખવાની વ્યવસ્થા કરવામાં આવે.
આગળની પોસ્ટ