એ લિસ્ટના ગણાતા થયેલા અભિનેતા આયુષમાન ખુરાનાએ કહ્યું હતું કે મને બિનપરંપરાગત ફિલ્મો સતત સુરક્ષિત રાખે છે એવું મને લાગે છેે. કારકિર્દીનો આરંભ જ વીર્યદાન જેવા વિષય પર આધારિત ફિલ્મ વીકી ડૉનરથી કર્યા બાદ આયુષમાને દમ લગા કે હૈૈશામાં પાતળા પતિની જાડીપાડી પત્નીની કથા ધરાવતી ફિલ્મ કરી હતી. એ પછી ઇર્રેક્શનલ ડિસફંક્શનની કથા ધરાવતી શુભ મંગલ સાવધાન ફિલ્મમાં ચમક્યો હતો. પછી તો એ સતત આ પ્રકારની ફિલ્મો કરતો રહ્યો.
સમીક્ષકો અને ટોચના સ્ટાર્સ ક્યારેક એની મજાક પણ ઊડાવી લેતા. પરંતુ આયુષમાન ધીરજભેર પોતાનું કામ કરતો રહ્યો. તાજેતરમાં આમિર ખાનની મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સાથેની ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાન સામે અને ત્યારબાદ રજનીકાંત અક્ષય કુમારની ૨.૦ સામે એની બિનપરંપરાગત ફિલ્મો ટકી રહી હતી અને બધાઇ હો જેેવી ફિલ્મે તો બોક્સ ઑફિસ પર ધીકતો ધંધો કર્યો હતો. એટલું જ નહીં આ ફિલ્મ પાકિસ્તાનમાં પણ સારી ચાલી હતી. આયુષમાને કહ્યું કે મારી કારકિર્દી માટે તો બિનપરંપરાગત કથા ધરાવતી ફિલ્મો વધુ શુકનિયાળ સાબિત થઇ છે. મારા માટે આ પ્રકારની ફિલ્મો જ સલામત છે. ’આજકાલ પરંપરાગત ફિલ્મો દિવસે દિવસે જોખમી થતી રહી છે ત્યારે બિનપરંપરાગત ફિલ્મોમાં જોખમ ઓછું રહે છે કારણ કે એ બનાવવામાં બજેટ ઓછું અને મોટાં નામ ધરાવતા કલાકારો ઓછાં હોય છે. આ એક પ્રકારનું સલામત મૂડીરોકાણ છે એમ કહી શકાય’ એવો અભિપ્રાય એણે વ્યક્ત કર્યો હતો.
આગળની પોસ્ટ