વીજ ચોરીના એક કેસમાં અમદાવાદના એક ૧૦૦ વર્ષના વૃદ્ધાને જેલ થઈ છે. વસીમાબીબી નિઝામુદ્દીન અન્સારી નામના એક વૃદ્ધા સામે ૨૦૧૪માં જીઈબી પોલીસ સ્ટેશનમાં વીજ ચોરીનો કેસ નોંધાયો હતો.
આ મામલે કોર્ટમાં કેસની સુનાવણી યોજાઈ હતી પરંતુ આ સુનાવણીમાં વસીમાબીબી હાજર ન રહેતા કોર્ટે તેમની સામે વોરન્ટ કાઢ્યું હતું. કોર્ટના આદેશ બાદ પોલીસે વસીમાબીબીની ધરપકડ કરીને તેમને કોર્ટમાં હાજર કર્યા હતા. કોર્ટે વસીમાબીબીને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. આરોપીએ જામીન માટે અરજી કરી હતી. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ કોર્ટે સુનાવણી કરતા વસીમાબીબીને જામીન આપ્યા હતા.
પોતાની જામીન અરજીમાં આરોપીએ જણાવ્યું હતું કે તેઓ ઉંમરલાયક છે અને જાતે હરી-ફરી શકે તેટલા પણ સક્ષમ નથી. તો આ સાથે જ તેમને દૈનિક ક્રિયાઓ માટે પણ અન્ય કોઈ વ્યક્તિની મદદ લેવી પડે છે અને એટલા માટે જ તેઓ કોર્ટમાં હાજર રહી શકતા નહોતા. કોર્ટે આરોપીને જામીન આપ્યા હતા પરંતુ સાથે જ પોતાના ચુકાદામાં એ પણ નોંધ્યું હતું કે આરોપીએ કોર્ટમાં ગેરહાજર રહેવાના જે કારણો આપ્યા છે તે સ્વીકાર્ય નથી.
તો સરકારી વકીલે આરોપીની જામીન અરજીનો વિરોધ તો નહોતો કર્યું પરંતુ તેમણે દલીલ કરી હતી કે કોર્ટે કડક શરતોના આધારે જ આરોપીને જામીન આપવા જોઈએ.