Aapnu Gujarat
ગુજરાત

અક્ષરધામ કેસ : ફારૂક શેખ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર

ગુજરાત સહિત દેશભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ૨૦૦૨ના અક્ષરધામ આતંકી હુમલા કેસના આંતકવાદી આરોપી મોહમ્મદ ફારૂક શેખને અત્રેની સેશન્સ કોર્ટના સ્પેશ્યલ જજ એમ.કે.દવેએ તા.૩૦મી નવેમ્બર સુધી ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવા હુકમ કર્યો હતો. શહેર ક્રાઇમબ્રાંચે ગઇકાલે આરોપી આંતકવાદી મોહમંદ ફારૂકની ચોક્કસ ઇનપુટ્‌સના આધારે અમદાવાદ એરપોર્ટ પાસેથી જ ધરપકડ કરી લીધા બાદ આજે લોખંડી પોલીસ જાપ્તા હેઠળ સેશન્સ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કર્યો હતો અને તેના ૧૪ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. ક્રાઇમબ્રાંચ તરફથી મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે આંતકવાદી મોહમંદ ફારૂકના રિમાન્ડની માંગણી કરતાં કોર્ટને જણાવ્યું હતું કે, આરોપી સાઉદી એરબીયામાં રિયાધ ખાતે રહી સમગ્ર આંતકવાદી હુમલાનું કાવતરૂ ઘડવામાં પોતાના ભાઇ મોહમંદ સલીમ હનીફ શેખ સાથે રહી ગુનો આચર્યો છે અને કાવતરામાં સક્રિય ભૂમિકા ભજવી છે, તેથી તે વિશેની માહિતી આરોપી પાસેથી કઢાવવાની છે. રિયાધ ખાતે ઘડાયેલા અક્ષરધામ હુમલાના કાવતરામાં હૈદ્રાબાદના અને અન્ય રાજયોના નાસતા ફરતા આરોપીઓ સિવાય અન્ય કોણ કોણ સંડોવાયેલ છે અને ખાસ કરીને જૈશ એ મોહમંદ અને લશ્કરે તોયબાના આંતકવાદીઓએ શું ભાગ ભજવ્યો છે, તેની માહિતી મેળવવાની છે. વળી, આરોપીએ પોતાના ભાઇ મોહમંદ સલીમ સાથે રહી તેના તથા અબ્દુલ રશીદની આગેવાની હેઠળ કેટલું ભંડોળ એકત્ર કર્યું અને કેટલી વાર તેમ જ કોના મારફતે, કેટલા નાણાં અને કયાં કયાં મોકલી આપ્યા છે તે સહિતની તમામ માહિતી જાણવાની છે. આરોપી મોહમંદ ફારૂક શેખ આટલા વર્ષો સુધી નાસતો ફરતો રહ્યો તો, તે કયાં કયાં સંતાયો અને તેને કોણે કોણે મદદ પૂરી પાડી, આશરો આપ્યો તેની જાણકારી મેળવવાની છે. આરોપી અક્ષરધામ હુમલા સિવાય અન્ય કેટલા પ્રકારના આંતકવાદી કૃત્યો અથવા તો ગુનાઓમાં સામેલ છે અને કયા કયા આંતકવાદી સંગઠનોના સંપર્કમાં રહ્યો છે અને કાવતરા ઘડયા છે, તેની મહત્વની તપાસ કરવાની છે. આ સમગ્ર કાવતરામાં અત્યાર સુધી નાસતા ફરતા અબુ સુફીયાન ઉર્ફે ફરહતઉલ્લા ઘોરી તથા અબ્દુલ રહેમાન ઉર્ફે અબુ દલ્હા ઉર્ફે ખાલીદ વિશે આરોપી શું માહિતી કે જાણકારી ધરાવે છે અને હાલ આ નાસતા ફરતા આંતકવાદીઓ શું પ્રવૃતિ કરે અને કયાં રહે છે તેની પણ માહિતી આરોપી પાસેથી કઢાવવાની છે. આ સંજોગોમાં કેસની તપાસ અને ન્યાયના હિતમાં આરોપીના પૂરતા રિમાન્ડ મંજૂર કરવા જોઇએ. મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટની રજૂઆત સાંભળ્યા બાદ સ્પેશ્યલ કોર્ટે આંતકવાદી મોહમંદ ફારૂકના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, ૨૦૦૨માં ગાંધીનગરના અક્ષરધામ મંદિર પર હુમલા બાદ આંતકવાદી મોહમ્મદ ફારૂક શેખ ફરાર થઇ ગયો હતો અને તે છેલ્લા ૧૬ વર્ષથી નાસતો ફરતો હતો. તે સાઉદી અરેબીયામાં રહેતો હતો અને અમદાવાદમાં તેના સંબંધીઓને મળવા માટે ગઇકાલે સાઉદી અરેબીયાથી આવ્યો હતો અને તેના અહીં આવવા અંગેના ચોક્કસ ઇનપુટ્‌સના આધારે શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ આંતકવાદી મોહમ્મદ ફારૂખ શેખને અમદાવાદ એરપોર્ટ પાસેથી જ ધરદબોચી લીધો હતો.

Related posts

ગુજરાત સરકાર તમામ જિલ્લા-તાલુકામથકે સરકારી કર્મચારીઓ માટે બહુમાળી વસાહતો બનાવશે

aapnugujarat

૫૦ માઇક્રોન કે વધુ જાડાઇના પ્લાસ્ટિક કપનો ઉપયોગ માન્ય : હાઈકોર્ટ

aapnugujarat

અતિવૃષ્ટિ, પુર કે વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જિલ્લા સ્તર પર તૈયાર થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1