જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ભંગ કરવામાં આવ્યા બાદ રાજકીય આક્ષેપબાજીનો દોર શરૂ થયો છે. નેશનલ કોન્ફરન્સે રાજ્યપાલના પગલાને રાજ્યની સામે કાવતરુ હોવાની વાત કરીને કાશ્મીરમાં સાંપ્રદાયિક માહોલ સર્જવાના પ્રયાસ થઇ રહ્યા હોવાનો દાવો કર્યો છે. એનસીએ કહ્યું છે કે, રાજ્યપાલ ભવનની ફેક્સ મશીને રાજ્યમાં લોકશાહીનું ગળુ દબાવી દીધું છે. એનસી નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, નુકસાન છતાં અમે પીડીપીની સાથે મળીને સરકાર બનાવવા રાજી થઇ ગયા છે. આજે અમે પોતાના ધારાસભ્યોની સાથે છેલ્લી વાતચીત કરીને સમર્થનપત્ર પીડીપીને સોંપનાર હતા. રાજ્યપાલ ભવનની ફેક્સ મશીન ઉપર ટકોર કરતા તેમણે કહ્યું હતું કે, આ ફેક્સ મશીન વન વે છે. પીડીપીનો પત્ર રાજભવનમાં પહોંચ્યો નથી. ફેક્સ મશીને લોકશાહીની હત્યા કરી દીધી છે. રાજ્યની સામે કાવતરા હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે, રાજ્યને કાવતરાના પરિણામ ભોગવવા પડી રહ્યા છે. રાજ્યમાં બદલાતા માહોલથી લોકો પરેશાન છે. જ્યારે પીડીપીની સરકાર પડી ગઈ હતી ત્યારે અમે રાજ્યમાં ચૂંટણી ઇચ્છતા હતા. રાજ્યપાલના ખરીદ વેચાણના નિવેદન અંગે ઓમરે કહ્યું હતું કે, રાજ્યપાલ દ્વારા આ વાત કરવામાં આવી છે જેથી આ સંદર્ભમાં પુરાવા રજૂ કરવા જોઇએ.
ધારાસભ્યોને ખરીદવાનું કામ કોણ કરી રહ્યું છે તે અંગેના પુરાવા રજૂ કરવા જોઇએ. પૈસાનો ઉપયોગ કોણ કરી રહ્યું છે તે અંગેની માહિતી પણ આપવી જોઇએ. રાજ્યપાલના વિરોધી વલણ અંગે ઓમરે કહ્યું હતું કે, જ્યારે પીડીપી અને ભાજપે સાથે મળીને સરકાર બનાવી છે તો અમે કેમ નહીં. જ્યારે બે જુદી જુદી વિચારધારા ધરાવતા લોકો સાથે મળીને જો સરકાર બનાવી શકે છે તો અમને લઇને વાંધો કેમ છે.
પાછલી પોસ્ટ