ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રવિવારે મોડી રાત્રે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતક્ષેત્ર વારાણસી જઇને કેટલાય પ્રોજેકટની રૂબરૂ સમીક્ષા અને નિરીક્ષણ કર્યું હતું. પોતાના બે દિવસના પ્રવાસ દરમિયાન યોગી આદિત્યનાથ રવિવારે મોડી રાત્રે સર્કિટ હાઉસથી વારાણસી-બાબતપુર રિંગરોડ સંદહા પહોંચ્યા હતા. ત્યાં તેમણે રિંગરોડનું નિરીક્ષણ કર્યું હતું અને પછી રામનગર ખાતે નિર્માણાધીન બંદરનું પણ નિરીક્ષણ કર્યું હતું.આ દરમિયાન યોગી આદિત્યનાથે અધિકારીઓને તેમણે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. રાત્રી ભ્રમણ દરમિયાન મીડિયા સાથેની વાતચીતમાં યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વડા પ્રધાન દ્વારા દેશનું પ્રથમ મલ્ટિમોડલ હબ ઇનલેન્ડ વોટર-વેને કાશીને સમર્પિત કરવામાં આવી રહ્યું છે.આ એક અદભૂત કાર્ય છે. સેંકડો વર્ષથી જે કાર્યની શોધ હતી અને જેને લઇને લોકો ઉત્સુક હતા શું જળમાર્ગથી પણ આપણે પરિવહનની સુવિધાને તેમજ માલ પરિવહનની વ્યવસ્થાને સુગમ બનાવી શકીએ કે કેમ? તે હવે પૂરી થવા જઇ રહી છે.યોગી આદિત્યનાથે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીના કારણે કાશીમાં આ બધું થવા જઇ રહ્યું છે. કાશી હવે માત્ર સાંસ્કૃતિક અને આધ્યાત્મિક નગરી જ નહીં રહે, પરંતુ તમામ પ્રકારના પરિવહનની નગરી પણ બનશે.તેમણે જણાવ્યું હતું કે કાશીમાં ફોર લેન, સિકસ લેન, એરપ્લેનના રનવેનું નિર્માણ થઇ ચૂકયું છે અને હવે જળમાર્ગની વાત કરીએ તો દેશના પ્રથમ અત્યાધુનિક જળમાર્ગની સુવિધા કાશીથી થઇ રહી છે.
પાછલી પોસ્ટ