પોલીસે આ મામલે જણાવ્યું હતું કે પીડિતાઓના પતિ, સાસુ, સસરા સહિત ૧૨ લોકો આ કેસમાં સામેલ છે. વિરાર પશ્ચિમની એમબી એસ્ટેટમાં રહેતી ૨૪ વર્ષીય પીડિતાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૫માં તેના લગ્ન વિરારમાં રહેતા સંજય મોહનલાલ રાવલ સાથે થયા હતા. તેની નાની બહેનના લગ્ન સંજયના નાના ભાઈ વરુણ રાવલ સાથે થયા હતા. બંને બહેનો એક જ ઘરમાં વહુ તરીકે રહેતી હતી. લગ્ન બાદ સાસરાવાળાઓએ બંને બહેનોને દહેજ માટે ત્રાસ આપવાનો શરૂ કર્યો હતો. સાસરાવાળાઓએ આ બંને બહેનોને પિયરમાંથી પાંચ લાખ રૂપિયા લઈ આવવાનું જણાવ્યું હતું. રૂપિયા ન મળતા આ બંને પર શારીરિક અને માનસિક અત્યાચાર શરૂ કરાયો હતો.
પોલીસ અનુસાર ૩૦ ઓગસ્ટે સાસરિયાઓએ બંને વહુઓને રાજસ્થાન લઈ ગયા હતા. બંનેને ત્રાસ અપાયો અને દસમી સપ્ટેમ્બરે સાસરિયાઓએ બંનેને ટ્રેનમાં બેસાડીને વિરાર પોતાના ઘરે જવા જણાવ્યું હતું. તેમની સાથે એક અજ્ઞાત વ્યક્તિ પણ આવ્યો હતો. બીજા દિવસે જ્યારે ટ્રેન વસઇ પહોંચી ત્યારે એ વ્યક્તિએ બંનેને મીરા રોડ તેની સાથે આવવા જણાવ્યું હતું. બંને બહેનોએ એ વ્યકિત સાથે ઝઘડો કરતાં વ્યક્તિએ જણાવ્યું હતું કે એ બંનેને દોઢ લાખ રૂપિયામાં તેના સાસરિયાઓએ તેને વેચી કાઢી છે. આ મામલે હજી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.