મધ્યપ્રદેશમાં ભાજપ સતત ચોથી વખત સત્તામાં ટકી રહેવા માટે એડીચોટીનું ચોર લગાવી રહી છે. આ માટે મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાદુગરોનો સહારો લેવાનો નિર્ણય કર્યો છે. ‘મૈજિક સ્પેલ’ના આ યૂનિક પગલાંથી શિવરાજ સરકાર લોકોના દિલ જીતવાની કોશિશ કરશે. આ માહીતી સાચી હોવાનો મધ્યપ્રદેશ ભાજપના પ્રવક્તાએ સ્વીકાર કર્યો છે.
રજનીશ અગ્રવાલે કહ્યું કે, અમે કેમ્પેઈન અને પબ્લિસિટી માટે જાદુગરોનો સહારો લેવાની તૈયારમાં છીએ. પાર્ટી છેલ્લા ૧૫ વર્ષમાં કરેલા કામને હાઈલાઈટ કરવા અને કોંગ્રેસ સરકારોના કામોની તુલના કરવા માટે જાદુગરોની મદદ લેશે. ભાજપના પ્રવક્તાએ ઉમેર્યું કે, જાદુગરના શોનું આયોજન ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં અને નાના શહેરોમાં કરાશે, જેથી મતદાર સુધી પહોંચી શકાય.
જોકે, ભાજપ કેટલા જાદુગરોની સેવા લેશે તેનો નિર્ણય હજુ કરાયો નથી. ભાજપને આશા છે કે વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મેજિક શો જલદી શરુ કરાશે. આ તમામ ગતિવિધ માટે બજેટ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ભાજપના પ્રવક્તાએ ઉમેર્યું કે, આ માધ્યમના લોકોને ભાજપ સરકારે કરેલા કામોથી વાકેફ કરીશું અને કોંગ્રેસની નિષ્ફળતાને પણ લોકો સમક્ષ મૂકીશું. અહીંયા નોંધવું રહ્યું કે, મધ્યપ્રદેશમાં ૨૮ નવેમ્બરે ચૂંટણી યોજાશે.