ભારતીય જનતા પાર્ટી તરફથી રાષ્ટ્રપુરુષ, લોકહૃદય સમ્રાટ, અજાતશત્રુ એવા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજેપેયીજીનું ૯૩ વર્ષની વયે નિધન થતાં સમગ્ર દેશવાસીઓએ દુઃખની લાગણી અનુભવી હતી તથા દુનિયાનાં અનેક દેશોએ અડધી કાંટીએ તેમનાં ધ્વજ લહેરાવ્યા હતાં. પાકિસ્તાનમાં પણ અટલજીનાં નિધન પ્રત્યે લોકોએ શોકની લાગણી વ્યક્ત કરી.
ભારત સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરેલ છે. આ સમય દરમિયાન સમગ્ર દેશમાં સર્વપક્ષીય પુષ્પાંજલિ સભા તથા પ્રાર્થનાસભાનું આયોજન થઈ રહ્યું છે જેનાં ભાગરૂપે અમદાવાદ જિલ્લાનાં ધોળકા, બાવળા અને સાણંદ મુકામે પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ ઉપસ્થિત રહી અટલજી સાથેનાં તેમનાં ૩૦ વર્ષનાં સંબંધો અને તે સમયગાળા દરમિયાન તેમણે અટલજી સાથે વિતાવેલા દિવસોનાં કેટલાંક પ્રસંગોનું તેઓએ નિરૂપણ કર્યું અને ૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં અટલજી ગુજરાતમાં ચૂંટણી પ્રચારઅર્થે આવેલાં ત્યારે તેમનાં સંસદીય મત વિસ્તાર બાવળા, સાણંદ, વિરમગામ, સીતાપુર, બહુચરાજી વગેરે સ્થળોએ તેઓએ જાહેરસભા સંબોધી હતી તેનો ઉલ્લેખ કર્યો અને અમદાવાદનાં ખાનપુર વિસ્તારમાં આવેલાં જે.પી.ચોકમાં મળેલી જનસભામાં સ્વ. અટલજીએ પૂર્વ સાંસદ રતિલાલ વર્માને ઉભા કરીને જાહેરમાં કહ્યું હતું કે, ‘કોંગ્રેસ કે પાસ લંબા ઉમ્મીદવાર હૈ તો ઉનસે ભી દો ઈંચ લંબા ઉમ્મીદવાર હમારે પાસ રતિલાલ વર્મા હૈ’ તેનો ઉલ્લેખ વર્માજીએ કર્યો. એવા અનેક પ્રસંગો તેઓએ કાર્યકર્તા સમક્ષ મૂક્યાં.
અંતમાં સમાજનાં શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, સાધુ-સંતોએ અટલજીને પુષ્પાજંલિ આપી હતી.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ