કેરળ હાઇકોર્ટે બે વિદ્યાર્થીઓને પ્રેમ સંબંધના કારણે બરતરફ કરવાના નિર્ણયો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે કોલેજ આવું ન કરી શકે. રાજ્યના તિરવનંતપુરમ સ્થિત CHMM કોલેજ ફોર એડવાન્સ સ્ટડીઝમાં બીબીએનો અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ એકબીજા સાથે પ્રેમ કરતાં હતાં. જોકે તેમના પરિવારજનો આ બંન્નેના સંબંધથી ખુશ ન હતાં એટલે તેમણે ઘર છોડીને ભાગીને લગ્ન કરી લીધાં.
છોકરીના ઘરવાળાઓએ પહેલા તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બાદમાં તેના લગ્ન માટે માની ગયા હતાં. જોકે સમસ્યા ત્યારે શરૂ થઇ જ્યારે કોલેજ તંત્રએ બંન્નેને નિયમ તોડવાના આરોપમાં કોલેજમાંથી બહાર કાઢી મુક્યાં.
એક બાજુ છોકરીએ પોતાનો અભ્યાસ ચાલુ રાખવા માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યાં ત્યારે તેના પતિએ કોર્ટમાં અરજી કરીને પોતાના એકેડેમિક રેકોર્ડ જે કોલેજે પોતાની પાસે રાખી લીધાં હતાં તેમને પાછા આપવાની માંગ કરી.
આ મામલામાં જસ્ટિસ એ મોહમ્મદ મુસ્તાકે નિર્ણય સંભળાવતા કહ્યું કે, ’પ્રેમ આંધળો હોય છે અને આ સહજ માનવીય પ્રવૃત્તિ છે.’ તેમણે આગળ જણાવતાં કહ્યું કે, ’પ્રેમ અને ભાગવાને નૈતિકતાના આધારે નિયમો તોડવાનું નામ ન આપી શકાય.આ કેટલાક માટે અપરાધ હોય શકે છે કેટલાક માટે અપરાધ ન હોય શકે.’
કોર્ટે કહ્યું કે, ’કોઇનો બીજા સાથે સંબંધ રાખવો તે તેની અંગત બાબત છે. તેને સંવિધાનમાં પણ આની સ્વતંત્રતા આપવામાં આવી છે. જીવનસાથી કે જીંદગી જીવવાનો રસ્તાની પસંદગી કરવી વ્યક્તિની સ્વતંત્રતા છે.’ કોર્ટે કોલેજને નિર્દેશ આપતા કહ્યું કે તે છોકરીનો અભ્યાસ ચાલુ રાખે અને છોકરાને પોતાના સર્ટિફિકેટ પાછા આપે.