ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક આવેલ કિમ નદીનો પુલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાના કારણે સ્થાનિક લોકોમાં ભય ફેલાયો છે. આ પુલ ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેમ છે. વાલિયા તાલુકાના ડહેલી ગામ નજીક આવેલ કિમ નદીનો પુલ આશરે ૭૦ વર્ષ જુનો છે. આ પુલ ૫૦ જેટલા ગામોને સુરત જિલ્લાના માંગરોળ તેમજ ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાને જોડે છે. આ પુલ પરથી અત્યંત ભારેથી અતિ ભારે વાહનો રોજે રોજ વહન કરે છે.
હાલમાં આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે. નાનકડા પુલ પર અસંખ્ય ગાબડાં જોવા મળી રહ્યા છે. ગમે ત્યારે આ પુલ પડી જાય તેવી હાલતમાં છે. આસપાસના ગામના લોકોએ અનેકવિધ રજૂઆતો કરી છે. તેમ છતાં આ પુલનું સમારકામ કરવામાં આવ્યું નથી. હાલમાં વરસાદની મોસમમાં આ પુલની હાલત વધુ જર્જરિત બનવા પામી છે. ત્યારે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેના માટે તંત્ર રાહ જોઈ રહ્યું છે કે કેમ તેવા સવાલો ગ્રામજનો કરી રહ્યાં છે.
વાલિયા એક આદિવાસી વિસ્તાર છે અને આ વિસ્તારમાં વિકાસના કામોમાં આડોડાઈ કરવામાં આવતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. માળખાકીય સુવિધાઓના અભાવે અહીંના નાગરિકો અસલામતી અનુભવી રહ્યાં છે.